કર્ણાટકમાં સ્ટાર પ્રચારક તરીકે નરેન્દ્ર મોદીની કસોટી થશે
કસોટી થવાની છે.
ગુજરાતમાં અત્યંત લોકપ્રિય નેતા અને સતત ત્રણ ટર્મથી મુખ્યમંત્રી બનતા નરેન્દ્ર મોદીને દેશના અન્ય રાજયોમાં કેવો પ્રતિસાદ અને ચાહના મળે છે તે જાણવા ભારતીય જનતા પાર્ટી આતુર છે. પક્ષના રાષ્ટ્રીય નેતાઓ સૌ પ્રથમ કર્ણાટકમાં તે બાબત જાણવા પ્રયાસ કરાશે. દક્ષિણ ભારતના અન્ય રાજયમાં મોદી તથા ભાજપ વિશે ફીડબેક મેળવવાની જવાબદારી વૈકેયા નાયડુને સોંપવામાં આવી છે.
કર્ણાટકમાં પાંચ મેના રોજ મતદાન છે. ભાજપે કર્ણાટક પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે પ્રહલાદ વી. જોશીની નિમણુંક કરી છે. આટલા ઓછા સમયમાં જોશી પાર્ટી માટે ડેમેજ કંટ્રોલ કરી શકે તેમ નથી. આમ મોદી સહિત પક્ષના તમામ અગ્રણી-કેન્દ્રીય નેતાઓ કર્ણાટકમાં મહત્વની જવાબદારી ઉઠાવવી પડશે. આ સમગ્ર પ્રચારનો ભાર નરેન્દ્ર મોદીના ખભા પર રહેશે.
કર્ણાટક ઉપરાંત આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં પણ મોદીના ક્રેઝને પારખવાની ભાજપની તૈયારી છે. હોળીના તહેવાર બાદ આંધ્રપ્રદેશમાં ટોક શો, ગ્રુપ ટુ ગ્રુપ વાતચીત, ચર્ચા-વિચારણા વગેરે જેવા કાર્યક્રમો યોજવાની ભાજપ તૈયારી કરી રહ્યું છે. આ દ્વારા અન્ય રાજ્યના લોકોની વચ્ચે મોદીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ અંગે વૈકેયા નાયડુએ જણાવ્યુ કે, દક્ષિણ ભારતના કાર્યક્રમોમાં કોઇ વ્યકિત વિશેષ નહિ પરંતુ પક્ષને મજબુત કરવાની પહેલ છે. કાર્યક્રમો સામાન્ય લોકો માટે રાખવામાં આવ્યા છે. જે લોકો કાર્યક્રમોમાં આવશે તેઓ ભાજપ વિશે કેવુ માનસ ધરાવે છે તે અંગે ચર્ચા કરાશે.
કર્ણાટકમાં મોદી દ્વારા યેદિયુરપ્પાને મનાવવાની પણ ભાજપની યોજના હોઇ શકે છે. સ્ટાર પ્રચારક રૂપે મોદી ચૂંટણી સભાઓ ગજાવશે. ભાજપ સાથે છેડો ફાડનાર કદાવર નેતા યેદિયુરપ્પા રાજયમાં અલગથી ચૂંટણી લડવાના છે. આમ મોદીનો સામનો કરવો તેમના માટે પડકારરૂપ હશે. યેદિયુરપ્પા મોદીના મોટા પ્રશંસક છે. અગાઉ તેમણે કહ્યુ હતુ કે, જો ભાજપ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે તો તેઓ ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવવા અંગે વિચારી શકે.