Exclusive : નરેન્દ્ર મોદીની વ્યુહરચના, રાહુલ ગાંધી ‘ઓવરરૂલ્ડ’!
અમદાવાદ, 8 એપ્રિલ : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મૅનેજમેંટ, માર્કેટિંગ તથા પબ્લિસિટીના પર્યાય તરીકે જાણીતાં છે અને આ વાત તેમણે આજે ફરી એક વાર સાબિત કરી આપી. ભારે હોબાળા, અટકળો તથા ઉત્સુકતા વચ્ચે નરેન્દ્ર મોદીએ ફિક્કીમાં આજના પોતાના પ્રવચનમાં જે વ્યુહરચના અપનાવી, તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે નરેન્દ્ર મોદી ભારતીય રાજકીય આકાશમાં સૂર્યની જેમ ચમકવા માંગે છે, તારાઓની જેમ નહીં. જોકે સૂર્યની જેમ ચંદ્ર પણ એક જ હોય છે, પરંતુ ચંદ્રનો પોતાનો કોઈ પ્રકાશ હોતો નથી અને તેથી જ પોતાને સૂર્ય સાબિત કરવા માટે આજે નરેન્દ્ર મોદીએ એક આગવી વ્યુહરચના હેઠળ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ઓવરરૂલ્ડ કરી નાંખ્યાં.
ભાજપના સૌથી લોકપ્રિયા અને કદાવર નેતા નરેન્દ્ર મોદી આજે ફિક્કીમાં મહિલા ઉદ્યમિઓને સમ્બોધિત કરવાના હતાં. તેમના સમ્બોધન ઉપર સૌની નજરો ગત 4થી એપ્રિલથી જ હતી. જોકે પ્રજા ઉપરાંત મીડિયા માટે પણ મોદી હાલ ટીઆરપી બની રહેલ છે અને તેથી જ મીડિયા તેમની દરેક પ્રવૃત્તિ ઉપર નજર રાખે છે. તેથી જ મીડિયાને 8મી એપ્રિલનો આતુરતાપૂર્વક ઇંતેજાર હતો.
ખેર મીડિયાનો ઇંતેજાર તો આજે ખતમ થઈ ગયો, પરંતુ મીડિયા અને રાજકીય પંડિતોની મહેચ્છા ન સંતોષાઈ શકી. નરેન્દ્ર મોદીએ જે પ્રવચન કર્યું, તેને મહત્વ મળવું સ્વાભાવિક હતું, પરંતુ મોદીનું પ્રવચન મીડિયા અને રાજકીય પંડિતોની મહેચ્છા મુજબ નહોતું.
પરંતુ મોદીનું આજનું પ્રવચન ખૂબ જ ચોકસાઈ ધરાવતું અને સાથે-સાથે વ્યુહાત્મક પણ હતું. મોદીએ પોતાના પ્રવચનની આસપાસ મહિલાઓને જ રાખ્યાં. મોદી જાણતા હતાં કે મીડિયા અને રાજકીય પંડિતો તેમના ભાષણમાં રાહુલ ગાંધીના નામની રાહ જોઈ રહ્યાં છે, આતુર છે, પરંતુ મોદીએ પોતાના પ્રવચનમાં રાહુલ ગાંધીની જેમ ન તો કોઈ વિઝન મૂકવાની કોશિશ કરી અને નથી તેમના તે દિવસના પ્રવચનના કોઈ અંશ ઉપર ટીકા-ટિપ્પણી કરી.
વળી મોદી ગત 6ઠી એપ્રિલે ભાજપના સ્થાના દિવસ સમારંભ દરમિયાન રાહુલ ગાંધીના પ્રવચન અંગે ‘મધમાખી-મધપૂડા'ની ચર્ચા છેડી ચુક્યા હતાં અને લોકોને આશા હતી કે આજે પણ મોદી જરૂર કોઈ ટીકા-ટિપ્પણી કરશે. ફિક્કીમાં જેવું મોદીએ બોલવાનું શરૂ કર્યું, સૌની નજરો તેમની ઉપર ટકી ગઈ, પરંતુ મોદીએ શરુઆતથી લઈ છેક સુધી પોતાનું પ્રવચન મહિલાઓની આસપાસ જ કેન્દ્રિત રાખ્યું. અહીં સુધી કે સવાલો પણ મહિલાઓના જ સાંભળ્યાં.
બીજી બાજુ મોદીના મોઢે રાહુલ શબ્દ સાંભળવા આતુર રાજકીય પંડિતો નિરાશ થઈ ગયાં, પરંતુ તેની પાછળની મોદીની વ્યુહરચના કોઈને સમજાઈ નહીં. વ્યુહરચના સ્પષ્ટ હતી કે મોદી રાહુલ ગાંધીને કટ ટુ સાઇઝ એટલે કે કદ પ્રમાણે વેંતરી નાંખવા માંગતા હતાં અને તેમાં તેઓ મહદઅંશે સફળ પણ રહ્યાં. ગત 4થી એપ્રિલ અગાઉ ભાજપ, રાજકીય શેરીઓ અને મીડિયામાં નરેન્દ્ર મોદીનું નામ ચર્ચામાં આવતું, ત્યારે રાહુલ ગાંધી સાથે તેમની સરખામણી માત્ર લોકપ્રિયતા મામલે જ થતી, પરંતુ 4થી એપ્રિલના રોજ રાહુલના સીઆઈઆઈના પ્રવચનને મીડિયાએ પ્રાથમિકતા સાથે ફોકસ કર્યું અને 8મી એપ્રિલના મોદીના ફિક્કીના પ્રવચન સાથે તેને સાંકળવાનો પ્રયત્ન કર્યો.
મોદી જાણતા હતાં કે જો તેઓ ફિક્કીમાં પોતાના પ્રવચનમાં તેઓ રાહુલ કે તેમના સીઆઈઆઈના પ્રવચન અંગેનો કોઈ પણ ઉલ્લેખ કરશે, તો રાહુલ ગાંધીને અનાયાસે જ પ્રસિદ્ધિની તક સાંપડશે. મીડિયા અને રાજકીય પંડિતો તેમના પ્રવચનને રાહુલ સાથે સરખામણી તરીકે દર્શાવશે. તેથી જ કદાચ મોદીએ એક ચોક્કસ વ્યુહરચના હેઠળ પોતાના સમગ્ર પ્રવચનમાં રાહુલ ગાંધીને ઓવરરૂલ્ડ કરી નાંખ્યાં. જો મોદી રાહુલ ગાંધીનો કે તેમના પ્રવચનનો ઉલ્લેખ કરત, તો ચોક્કસ રીતે રાહુલને અનાયાસે જ મહત્વ મળી જાત. તેથી મોદીએ રાહુલ ગાંધીને કટ ટુ સાઇઝ કરતાં પોતાના પ્રવચનમાંથી રાહુલને ઓવરરૂલ્ડ કરી નાંખ્યાં.
ભારતીય રાજકારણમાં નરેન્દ્ર મોદી એમ જ ચાણક્ય તરીકે નથી ઓળખાતાં. ગુજરાતમાં અગિયાર વર્ષોથી શાસન કરતાં મોદી અનેક વિરોધાભાસો છતાં સતત ત્રણ વાર વિધાનસભા ચૂંટણીઓ જીતી ચુક્યાં છે. તેની પાછળ તેમની વિશિષ્ટ કાર્યશૈલી, વિશિષ્ટ વ્યુહરચના, રાજકીય વિચારસરણી તથા વિકાસ અને તેના જોરદાર પ્રચારનો મોટો ફાળો છે. મોદીએ પોતાના બળે લોકપ્રિયતાની આટલી મોટી ઇમારત ચણી છે અને આજે તેઓ ભારતીય રાજકારણમાં સૂર્યની જેમ ચમકી રહ્યાં છે.