મુદ્દા લઈ લો મુદ્દા : રાહુલની ‘બકવાસ’ પર હવે ત્રાટકશે મોદીનો ‘બૉમ્બ’
અમદાવાદ, 28 સપ્ટેમ્બર : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈકાલે ભારે કરી. આ એક એવો ફૅમિલી ડ્રામા હતો કે જેની સામે કોંગ્રેસમાં આશ્ચર્ય હતું, તો વિરોધીઓને હસવું આવી રહ્યુ હતું. દાગીઓ અંગેના વટહુકમ સામે રાહુલનો બળાપો દેખીતી રીતે જ અપરિપક્વતાની નિશાની જેવું હતું.
ખેર, રાહુલ ગાંધી દ્વારા વટહુકમને બકવાસ ગણાવવું માત્ર તેમની અપરિપક્વતાનો જ પરિચાયક નથી, પણ જે દિવસની તેમણે પસંદગી કરી, તે જોતા તેમનું આમ કહેવું વધુ મૂર્ખામીભર્યું સાબિત થઈ શકે છે. રાહુલ ગાંધીએ ગઈકાલે આ વટહુકમ અંગે ટીકા કરી અને આ સાથે જ કોંગ્રેસના મુખ્ય પ્રતિસ્પર્ધી અને પડકાર નરેન્દ્ર મોદીને બેઠા-બેઠા એક મુદ્દો આપી દીધો.

વાસ્તવમાં સૌ જાણે છે કે નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં રેલીને સંબોધવાના છે. મોદીની દિલ્હી રેલીના 48 કલાક પહેલા રાહુલે કરેલી આ બકવાસે સીધે-સીધું મોદીને મુદ્દો આપી દીધો છે. નરેન્દ્ર મોદી એમેય કોંગ્રેસ ઉપર અને દિલ્હીની સલ્તનત કહીને પ્રહાર કરવાની કોઈ તક ચૂકતા નથી. હૈદરાબાદથી લઈ કોલકાતા અને કોરબાથી લઈ ભોપાલ સુધી તેઓ સતત કોંગ્રેસ અને દિલ્હીની સલ્તનત ઉપર હુમલો કરતા આવ્યાં છે.
હવે જ્યારે રાહુલે ગઈકાલે જ યૂપીએ સરકારના દાગીઓનો બચાવ કરતા વટહુકમને બકવાસ ગણાવ્યો, ત્યારે સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી આવતીકાલની દિલ્હી રેલી દરમિયાન આ મુદ્દાને ચોક્કસ ચગાવશે. દેખીતી રીતે જ ડૅમેજ કંટ્રોલ જેવું જણાતું રાહુલનું નિવેદન રાજકીય રીતે જોઇએ તો ફૅમિલી ડ્રામા જેવુ જ લાગે છે. કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર હોય, કેબિનેટ તે વટહુકમને મંજૂરી આપતી હોય અને છેક રાષ્ટ્રપતિ સુધી વટહુકમ પહોંચી જતો હોય, ત્યાં સુધી રાહુલનું અભાન રહેવું... આ આશ્ચર્યજનક નહીં, પણ હાસ્યાસ્પદ અને નાટક જ લાગે છે.
આ પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી ચોક્કસ આવતીકાલે દિલ્હી રેલીમાં આ મુદ્દાને ચગાવશે. નરેન્દ્ર મોદી સમક્ષ મુદ્દાઓની ભેંટ ધરવાની રાહુલની આદત રહી છે. અગાઉ પણ તેમણે ગરીબાઈ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું અને મોદીએ પછીની રેલીઓમાં રાહુલની ગરીબાઈ અંગેની વ્યાખ્યાની ખિલ્લી ઉડાવી હતી. એટલે હવે આવતીકાલે રાહુલની આ બકવાસ પર મોદીનો બૉમ્બ ફૂટવાની પૂરે પૂરી શક્યતા છે.












Click it and Unblock the Notifications
