PM પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ 1 ઑગસ્ટે જાહેર થશે
નવી દિલ્હી, 30 જુલાઇ : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હસ્તક્ષેપ બાદ પક્ષમાં મોદીનો આંતરિક વિરોધ બંધ થયો છે. મોદીનો વિરોધ કરી રહેલા પક્ષના નેતાઓએ પણ પોતાનું અભિયાન સંભાળી લીધું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર હવે ભાજપ આગામી 1 ઓગષ્ટના રોજ દિલ્હીમાં ભાજપ અને સંઘના ટોચના પદાધિકારીઓનુ સમન્વય બેઠકમાં આ અંગેની ઔપચારિક જાહેરાતની રણનીતિ નક્કી કરશે.
મહત્વની બાબત છે કે પાર્ટી, સંગઠન અને સંઘની આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત પણ હાજર રહેશે. સૂત્રોનું માનીએ તો સંઘે મોદી સામેની અડચણો દુર કરવામાં મહત્વની ભુમિકા ભજવી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપના ટોચના નેતાઓના આંતરિક ઝઘડાઓ ઉપર વિરામ લગાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
લોકસભાની ચૂંટણીમાં મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો પ્રાથમિક નિર્ણય કર્યા બાદ બાદ સંઘનો પ્રયાસ સમગ્ર પરિવારમાં એકતા જાળવી રાખવા અંગેની રહેશે. પોતાની વૈચારિક લડાઇ માટે સંઘ ચૂંટણીને ઘણી મહત્વની માને છે તેથી સામુહિક નેતૃત્વની વકાલત કરતા ભાગવતે વ્યકિતગત રૂચી લઇને ભાજપમાં નેતૃત્વનો વિવાદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.
આ સાથે સંઘ એવો સંકેત આપવા નથી ઇચ્છતુ કે મોદીને લઇને પરિવારમાં મતભેદ હોય તેથી સમન્વય બેઠકમાં વિહિપના નેતાઓને પણ બોલાવવામાં આવે તેવી શકયતા છે. અમરાવતીમાં સંઘની માર્ગદર્શક મંડળ બેઠકમાં સહમતી બની છે કે મોદીને ચૂંટણી ચહેરો બનાવવામાં આવે.
લોકસભા ચૂંટણી 2014માં વિજય માટે પરિવારના તમામ સંગઠનોને એક રાખવા એવું સંઘ માને છે. વિહિપે ભાજપને વોટ અપાવવા માટે રામ મંદિર અભિયાનને વેગવંતુ બનાવવાનું એલાન કર્યું છે.