ભારતમાં હજુ નવા કોરોના વેરિઅન્ટ B.1.1.529 નો કોઈ કેસ નહીં-સત્તાવાર સુત્રો
નવા કોવિડ-19 વેરિઅન્ટ B.1.1.529ને લઈને વિશ્વવ્યાપી ખતરો સર્જાઈ રહ્યો છે. ભારત સરકારે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કરી દીધા છે.
નવી દિલ્હી, 26 નવેમ્બર : નવા કોવિડ-19 વેરિઅન્ટ B.1.1.529ને લઈને વિશ્વવ્યાપી ખતરો સર્જાઈ રહ્યો છે. ભારત સરકારે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કરી દીધા છે. આ દરમિયાન સત્તાવાર સુત્રોના હવાલાથી ખબર આવી છે કે, કોવિડ-19 વેરિઅન્ટ B.1.1.529 નો કોઈ કેસ નથી. એટલે કે દક્ષિણ આફ્રિકામાં ખલબલી મચાવનાર કોવિડ વેરિઅન્ટનો એક પણ કેસ ભારતમાં જોવા મળ્યો નથી. હાલમાં ભારતને આ વેરિયન્ટથી કોઈ ખતરો નથી.
તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા આ નવા કોવિડ-19 વેરિઅન્ટને કારણે ત્યાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ નવા કોવિડ-19 વેરિયન્ટ અંગે ચર્ચા કરવા માટે એક વિશેષ બેઠક બોલાવી છે.
કોવિડ-19 ના ડબ્લ્યુએચઓના ટેકનિકલ વડા ડો. મારિયા વાને કહ્યું કે, અમે હજુ સુધી તેના વિશે વધુ જાણતા નથી. અમને એ જાણીએ છીએ કે આ પ્રકાર મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી શકે છે. ચિંતા એ છે કે જ્યારે તમારી પાસે ઘણા મ્યુટન્ટ્સ હોય છે તો તે વાયરસના વર્તન પર અસર કરી શકે છે.
આ નવા કોવિડ-19 વેરિઅન્ટ B.1.1529ને ધ્યાનમાં રાખીને ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગથી આવનારા તમામ વિદેશી પ્રવાસીઓના ગંભીરતાથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવે. ક્વોરેન્ટાઈન વગર કોઈને પણ બહાર ન જવા દો.
શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10,549 નવા કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે 488 લોકોના મોત થયા છે, જે પછી ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 4,67,468 થઈ ગયો છે. ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 1,10,133 છે.