આનંદો... હાફૂસ કેરીના ભાવમાં 50 ટકાનો કડાકો
મુંબઇ, 1 મે : ભારતના કેરી પ્રેમીઓ માટે ઉનાળાની ગરમીમાં ઠંડક આપતા સમાચાર એ છે કે આજથી તેમને હાફૂસ કેરી લગભગ અડધી કિંમતમાં ઉપલબ્ધ બનશે. આ માટેનું કારણ એ છે કે યુરોપીય સંઘના દેશોએ ભારતીય કેરીની આયાત પર 1 મેથી પ્રતિબંધ મૂક્યો છે.
આ વાતની અસર બે દિવસ પહેલાથી જ ભારતના બજારોમાં જોવા મળી હતી. રત્નાગીરી હાફૂસના ભાવ સોમવારે ડઝનદીઠ રૂપિયા 400 હતા તે મંગળવારે રૂપિયા 200 થઇ ગયા હતા. એટલે કે કેરીના ભાવમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
યૂરોપિય દેશોમાં 1 મે, 2014થી હાફૂસની આયાત પર પ્રતિબંધ મુકાતા આ કેરીના ભાવો તૂટી ગયા છે. આ સમાચારથી કેરી પ્રેમીઓને જલસા પડી ગયા છે તો બીજી તરફ આ પરિસ્થિતિ ચાલુ રહી તો કેરીના વેપારીઓને આ વર્ષે જબ્બર ખોટ થશે તેવી ચર્ચા થઈ રહી છે.
અત્યારે હાફૂસની નિકાસ માત્ર દુબઈ, સિંગાપોર, મલેશિયા, બેહરીન વગેરે દેશો માટે થઈ રહી છે. અખાતી દેશોમાં કેરીની નિકાસનું પ્રમાણ ઓછું હોવાથી મોટાભાગની ભારતીય કેરી ભારતમાં જ વેચવી પડે તેવી નોબત આવી પડી છે.
એપીએમસી માર્કેટમાં કોંકણના રત્નાગીરી, દેવગઢ, સિંધદૂર્ગ, અલીબાગ તેમજ કર્ણાટકની કેરીની આવક વધારે છે અને માગ ઓછી હોવાથી કેરીના શોખીન લોકો ગેલમાં આવી ગયા છે. આગામી દિવસોમાં હાફૂસ આવક હજુ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
વેપારીઓને બીજી ચિંતા ગરમીની છે. ગરમી વધવાથી કેરી જલ્દી પાકી જાય છે અને પાકેલ કેરી આઠ દિવસ જ સારી રહે છે. અત્યારે બજારમાં મોટેભાગે ઘણી પાકેલી કેરીની આવક હોવાથી પણ ભાવો નીચા થઈ ગયા છે.
ભારતીય હાફૂસની કુલ નિકાસમાંથી 30 ટકા જેટલી કેરી યૂરોપીય દેશો જતી હતી પણ હવે તે પર પ્રતિબંધ મુકાતા માત્ર હાફૂસની નિકાસથી ભારતને જે વર્ષે રૂપિયા 300 કરોડનું વિદેશી હૂંડિયામણ મળતું હતું તેમાં મોટો ફટકો પડવાનો છે.
વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે પાકેલી કેરી જ બજારમાં સામાન્ય કરતા 10થી 15 દિવસ જલદી આવી ગઈ હોવાથી લોકોને હવે પછી આઠ-દસ દિવસ જ સારી કેરી ખાવા મળશે.