હવે ડોક્ટર્સ દર્દીઓ પાસેથી આડેધડ ફી વસૂલી શકશે નહીં
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર : દર્દીઓનો ઇલાજ કરવા માટે ડોકટરો દ્વારા લેવામાં આવતી આડેધડ અને ભારેખમ ફી ઉપર સામાન્ય રીતે કોઇનુ ધ્યાન જતું નથી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડોકટરોની આવી મનમાની ફી વસુલવાની ટેવ ઉપર નિયંત્રણ મુકવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે દરેક બીમારી માટે એક મર્યાદાથી વધુ ફી વસુલી શકાશે નહીં. આ ધારાધોરણો નક્કી કરવા માટે ઉદ્યોગ જગત સાથે જોડાયેલ સંસ્થા ફિક્કીની મદદ લેવામાં આવશે.
આ માટે ફિક્કી હેલ્થ સર્વિસ કમિટીના વડા સંગીતા રેડ્ડીએ કહ્યું છે કે ડોકટર્સ તરફથી વસુલવામાં આવતી મનઘડત ફીને લઇને મંત્રાલય સાથે વાતચીત ચાલુ છે. અનેક જાણીતા ડોકટરો એક જ બીમારીના ઓપરેશન કે ઇલાજમાં મોટી ફી વસુલે છે જયારે આ જ ઇલાજ માટે નાના અને મધ્યમ ડોકટરો અપેક્ષાથી ઓછી ફી લેતા હોય છે.
સંગીતા રેડ્ડીએ જણાવ્યુ છે કે હાલમાં સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક ઇલાજ માટે ફીની એક સીમા નક્કી કરવાની જવાબદારી ફિક્કીને સોપી છે. ટુંક સમયમાં વિવિધ હોસ્પિટલો, નિષ્ણાંતો અને સિવિલ સોસાયટીની સાથે મળીને માળખુ તૈયાર કરવામાં આવશે.
દેશમાં આજે પણ મોટાભાગના દર્દીઓએ ઇલાજ માટે ગજવામાંથી મોટા પ્રમાણમાં પૈસા ચુકવવા પડતા હોય છે. ડબલ્યુએચઓના એક રિપોર્ટ અનુસાર ભારતમાં લોકોએ ઇલાજ પર લગભગ 60 ટકા વધુ ખર્ચ કરવો પડે છે. જયારે મોટાભાગના પશ્ચિમના દેશોમાં એક સામાન્ય દર્દીએ માત્ર 4થી 6 ટકા પૈસા જ ખર્ચ કરવા પડે છે.
ભારતમાં ઇલાજ પાછળ થતા ખર્ચમાં સોથી મોટો હિસ્સો ઇલાજ દરમિયાન બિનજરૂરી મેડીકલ તપાસ અને ડોકટરોની મનમાની ફીનો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે કે, એક વખત ફિક્કી દ્વારા અપાતા મુસદ્દા પર ડીજીએચએસની ટીમ ચર્ચા કરી લેશે તે પછી સમગ્ર દેશમાં તેનો અમલ શરૂ કરાવવામાં આવશે.