રાયબરેલીના NTPCમાં બૉયલર ફાટતાં 14નું મૃત્યુ, 100 ઇજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના રાયબરેલીના એનટીપીસીમાં બૉયલર ફાટતા મોટી દુર્ઘટના ઘટી છે.
બુધવારે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક દુઃખદ ઘટના બની હતી. રાયબરેલીના ઊંચાહારમાં એનટીપીસીમાં બૉયલર ફાટવાને કારણે અનેક લોકો ઘાયલ થયા અને 10 લોકોનું મૃત્યુ થયું હતું. ડીએમ દ્વારા પણ આ ખબરની પુષ્ટિ કરતાં લગભગ 100 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 50 હજાર તથા અન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. આ ઘટના બાદ સામે આવેલ તસવીરો અત્યંત દયાજનક અને દુઃખદ છે. મૃતકોની સંખ્યામાં વધારો થાય એવી શક્યતા છે.
આ મામલે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવિત મદદ આપવાની ખાતરી આપી હતી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તથા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઘટનાની જાણકારી મળતાં જ એનડીઆરએફની 32 સભ્યોની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે એનટીપીસી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, 500 મેગાવોટવાળા ટ્રાયલ યૂનિટના બૉયલર ફાટતા આ ઘટના ઘટી હતી. નીચેની તસવીરમાં એનપીટીસીના પ્લાન્ટમાંથી નીકળતા ધુમાડો જોઇને જ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવે છે.