શશિકલા બનશે તમિલનાડુના મુખ્યમંત્રી, પન્નીરસેલ્વમે આપ્યું રાજીનામુ
તમિલનાડુના મુખ્યમંત્રી પન્નીરસેલ્વમે રાજીનામુ આપી દીધું છે, જયલલિતાના નજીકના સંબંધી શશિકલા બનશે નવા મુખ્યમંત્રી.
તમિલનાડુ ના મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે, તેમણે પોતાનું રાજીનામું આપવાની સાથે જ જયલલિતા ના નજીકના સંબંધી શશિકલાનું નામ મંત્રીમંડળ સામે મુક્યું હતું. પન્નીરસેલ્વમે રાજીનામુ આપી દીધા બાદ હવે શશિકલા તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનશે. શશિકલાના નામના પ્રસ્તાવને પાર્ટીના તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી પસાર કર્યો છે.
જયલલિતાની ભત્રીજી દીપા માધવનને લાગ્યો ઝાટકો
ઉલ્લેખનીય છે કે, જયલલિતાના ભત્રીજી દીપા માધવને પોતાને પાર્ટીના દાવેદાર ગણાવ્યા હતા, તેઓ વારંવાર શશિકલા પર આરોપ પણ લગાવી રહી હતી. પરંતુ પાર્ટીના ધારાસભ્યોએ તેમની વાતો અવગણી કાઢી હતી અને આખરે જયલલિતાની રાજગાદી શશિકલાને સોંપવામાં આવી.
તમિલનાડુ માટે કાળો દિવસ - ડીએમકે
તો બીજી બાજુ, શશિકલાના મુખ્યમંત્રી બનવાની સાથે ડીએમકે એ આનો વિરોધ કરતાં કહ્યું કે, 'તમિલનાડુ માટે આ કાળો દિવસ છે. તમિલનાડુના લોકોએ જયલલિતાના નજીકના સંબંધીને મુખ્યમંત્રી બનાવવા માટે મત નહોતા આપ્યા.'
શશિકલાએ પક્ષના મહાસચિવની કમાન સંભાળી હતી
કહેવાઇ રહ્યું છે કે, જયલલિતાની ખૂબ નજીક એવા શશિકલામાં લોકો અમ્માની છબી શોધતા અને જયલલિતાના નિધન બાદ એ તમામ લોકોની નજર ચિનમ્મા પર જ હતી. આમ પણ તમિલનાડુમાં પન્નીરસેલ્વમના મુખ્યમંત્રી બન્યા બાદ પરિસ્થિતિમાં ખૂબ ઝડપી પરિવર્તન આવ્યું હતું, પક્ષના ઘણા લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે પક્ષ તૂટવાની પણ શક્યતા ઊભી થઇ હતી. આ બધા વચ્ચે થોડા સમય પહેલાં જ શશિકલાને પક્ષના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.
એક નવા યુગની શરૂઆત
પક્ષની કમાન શશિકલાના હાથમાં આવ્યા બાદ ઘણા નેતા ઇચ્છતા હતા કે, તેઓ વહીવટી ધોરણે પણ રાજ્યની કામગીરી સંભાળે. ત્યાર બાદ ચેન્નાઇ ખઆતે પક્ષની ઓફિસમાં ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી, જ્યાં પન્નીરસેલ્વમે શશિકલાને વિધાનસભાને નેતા બનાવવાનો પ્રસ્તાવ મુક્યો, જે સર્વસંમતિ સાથે પાસ થયો અને શશિકલાના મુખ્યમંત્રી બનવાની વાત પાકી થઇ. રાજકારણીય પંડિતો અનુસાર આ એક નવા યુગની શરૂઆત છે.
અહીં વાંચો - પંજાબ વિધાનસભા ચૂંટણીઃ 78% મતદાન, શું બાદલ સરકારની વિરુદ્ધ છે લોકો?