ત્રીજા મોરચામાં હલચલ વધી, INLD પ્રમુખ ચૌટાલાઃ ‘માયાવતીને બનાવીશુ પીએમ'
લોકસભા ચૂંટણી 2019 પહેલા ત્રીજા મોરચાની રચના અંગે હલચલ વધતી જોવા મળી રહી છે.
લોકસભા ચૂંટણી 2019 પહેલા ત્રીજા મોરચાની રચના અંગે હલચલ વધતી જોવા મળી રહી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલાએ કહ્યુ છે કે તેઓ 2019 માં બસપા સુપ્રિમો માયાવતીને દેશના આગામી પ્રધાનમંત્રી બનાવશે. ચૌટાલાએ કહ્યુ કે બધા વિપક્ષી દળોને ભેગા કરીને આપણે બધા માયાવતીને પ્રધાનમંત્રી પદ પર બેસાડવાનું કામ કરીએ. પોતાના પિતા દેવી લાલની 105મી જયંતિન પ્રસંગે આયોજિત રેલી દરમિયાન ઓમ પ્રકાશ ચૌટાલાએ આ વાત કહી.
માયાવતીને પીએમ બનતા જોવા ઈચ્છે છે ચૌટાલા
લગભગ ચાર વર્ષ બાદ કોઈ જનસભાને સંબોધિત કરી રહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રીએ આ દરમિયાન કોંગ્રેસ પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે કોંગ્રેસ નેતાઓએ તેમને જેલ મોકલવાનું ષડયંત્ર રચ્યુ હતુ. તેમણે કહ્યુ, ‘જ્યારે હું જેલમાં ગયો ત્યારે કોંગ્રેસે વિચાર્યુ કે ઈન્ડિયન નેશનલ લોકદળ ખતમ થઈ જશે પરંતુ હું એ કાર્યકર્તાઓનો આભાર માનુ છુ કે જેમણે આકરી મહેનત અને લગનના દમ પર પાર્ટીને જીવિત રાખી.' ચૌટાલાને શિક્ષક ભરતી ગોટાળા મામલે 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી અને તે બે સપ્તાહથી પેરોલ પર તિહાર જેલમાંથી બહાર આવ્યા છે.
આ પણ વાંચોઃ ગ્લોબલ વોર્મિંગથી ભારતને સૌથી વધુ ખતરો, ગરમ હવાઓ ઘાતકઃ IPCC રિપોર્ટ
|
ત્રીજા મોરચો બનાવવાની દિશામાં કામ કરી રહ્યા
ઓમ પ્રકાશ ચૌટાલાએ કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યુ કે આગામી ચૂંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે સંગઠનને વધુ મજબૂત કરો. તેમણે કહ્યુ કે તે ત્રીજા મોરચાની રચનાની દિશામાં કામ કરી રહ્યા છે જેથી એક ગરીબની દીકરી માયાવતી દેશની પ્રધાનમંત્રી બની શકે. ચૌટાલાએ કહ્યુ કે બસપા-આઈએનએલડીનું ગઠબંધન મજબૂત હતુ અને આ ગઠબંધન માયાવતીને દેશના પીએમ બનાવવા માટે કરવામાં આવ્યુ હતુ.
કોંગ્રેસ પર હુમલો
આ રેલી દરમિયાન બસપાના હરિયાણા પ્રભારી મેઘરાજ સિંહ પણ હાજર હતા અને તેમણે કહ્યુ કે ભાજપ-કોંગ્રેસના દુષ્પ્રચાર છતાં બસપા-આઈએનએલડીનું ગઠબંધન મજબૂત છે અને આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યુ કે ભાજપ અને કોંગ્રેસ આ ગઠબંધનની શક્તિ અને પ્રભાવથી ચિંતિત છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડ