રાજ્યસભામાં પણ સરકારને બહુમત, રીટેઇલમાં FDIનો રસ્તો સાફ

લોકસભાની જેમ રાજ્યસભામાં પણ સમાજવાદી પાર્ટીના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. જ્યારે માયાવતીએ તો ગઇકાલે જ ચોકાવનારુ નિવેદન આપ્યું હતુ કે તેઓ એફડીઆઇ મુદ્દે સરકારના સમર્થનમાં વોટિંગ કરશે. આની સાથે એકવાર ફરી માયાવતી અને મુલાયમસિંહ સરકારને રાજ્યસભામાં પણ બચાવી લીધી હતી.
જોકે એફડીઆઇના મુદ્દે ચર્ચા દરમિયાન હંગામો થતા રાજ્યસભાને અઢી કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં રાજ્યસભામાં વોટિંગ કરવામાં આવ્યું હતું. જોકે વોટિંગ મશીનમાં ખામી સર્જાતા વોટિંગ ફરી કરાયું હતું, જેનું પરિણામ સ્પિકર દ્વારા માન્ય રખાયું હતું. કુલ 212 સભ્યો માંથી 116 સભ્યોએ સરકારના પક્ષમાં અને 95 સભ્યોએ સરકારના વિરુદ્ધમાં વોટ આપ્યા, જ્યારે 2 સભ્યો ગેરહાજર બતાવતા હતા.
સરકારને રાજ્યસભામાં પણ રીટેઇલમાં એફડીઆઇ માટે બહુમતી મળતા રીટેઇલમાં એફડીઆઇને લાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. ભારે વિરોધ બાદ વિપક્ષના કહેવાથી જ બંને ગૃહોમાં નિયમ 184 હેઠળ ચર્ચા અને વોટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં વિપક્ષને હારનો સામનો કરવો પડ્યો.
આ પહેલા સરકારને મુલાયમસિંહ યાદવ અને માયાવતીની પાર્ટીએ વોટિંગ પહેલા લોકસભામાંથી વોકઆઉટ કરી પરોક્ષરીતે બચાવી લીધી હતી. જોકે બંને પાર્ટીના અધ્યક્ષોએ ચર્ચામાં એફડીઆઇ માટે અસમર્થન નોંધાવ્યું હતું. પરંતુ વોટીંગ નહી કરતા વિપક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પહેલા લોકસભામાં રીટેઇલમાં એફડીઆઇના મુદ્દે ઓટોમેટિક વોટિંગ સિસ્ટમ દ્વારા વોટિંગ કરાવવામાં આવ્યુ હતું જેમાં સરકારને 253 વોટનું બહુમત મળ્યું હતું. જ્યારે વિપક્ષને માત્ર 218 જ વોટ મળ્યા હતા. જેની સાથે એફડીઆઇના મુદ્દે વિપક્ષનો પ્રસ્તાવ લોકસભામાં પડી ભાંગ્યો હતો.
બસપા અધ્યક્ષ માયાવતીએ ગઇકાલે જણાવ્યું હુતું કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવતી એફડીઆઇમાં એવી સુવિધા છે કે તે કોઇપણ રાજ્યમાં તેને થોપવામાં નહી આવે, માટે અમારી પાર્ટીએ એવો નિર્ણય કર્યો છે કે અમે આ મુદ્દે સરકારના પક્ષમાં મતદાન કરીશું.












Click it and Unblock the Notifications
