75મા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી
75મા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75મા સ્વતંત્રતા દિવસ પર દેશને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું, 'દેશવાસિઓમાં નવી ઉર્જા અને નવચેતનાનો સંચાર થાય...' વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં જ લાલ કિલ્લા પરથી દેશના નામે સંબોધન આપશે. આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ બહુ ખાસ છે, કેમ કે ટોક્યો ઓલિમ્પિકના પદક વિજેતા ખેલાડીઓને પણ અહીં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ વખતે પોતાના સંબોધનમાં પીએમ મોદી કઈ નવી ઘોષણા કરી શકે છે તેના પર બધાની નજર રહેશે.
લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ પીએમ મોદી દેશને નામ સંબોધન કરશે. જો કે કોરોનાવાયરસ મહામારીને કારણે દર વર્ષની જેમ આ વર્ષે નજારો નહી હોય. માત્ર આમંત્રિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત આજે પહેલીવાર લાલ કિલ્લાના સમારોહમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર્સ ફૂલોનો વરસાદ કરશે. રક્ષામંત્રાલયે શનિવારે આ જાણકારી આપી છે.
રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે જેવો જ પીએમ મોદી લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે કે તરત જ ભારતીય વાયુ સેનાના બે Mi-17 1V હેલિકોપ્ટર સમારોહ સ્થળ પર ફૂલોનો વરસાદ કરશે. ફૂલના વરસાદ બાદ પીએમ મોદી સવારે સાડા સાત વાગ્યે મહત્વના મુદ્દાઓ સાથે દેશને સંબોધિત કરશે. આ દરમિયાન દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના તરફથી કહેવામાં આવ્યું કે આ આયોજન માટે રાષ્ટ્રીય રાજધાનીમાં આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ આતંકી હુમલાની આશંકાને જોતાં દર વર્ષથી વધુ સંવેદનશીલ જગ્યાએ ડ્રોનથી દેખરેખ રાખવામાં આવશે.
શનિવારે રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે બત્રીસ એથલિટ્સ, જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે, અને ભારતીય ખેલ પ્રાધિકરણના બે અધિકારીઓને રવિવારે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જેવલિન થ્રોઅર નીરજ ચોપડા જેમણે હાલમાં જ સંપન્ન ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનો ઈતિહાસ રચી દીધો છે, તેઓ આ 32 એથલિટ્સમાંના એક છે જેમને સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ નિરજ ચોપડાને તાવ આવ્યો હોવાના કારણે તેઓ સમારોહમાં સામેલ ના થાય તેવું બની શકે.
રક્ષા મંત્રાલયે કહ્યું કે, "લગભગ 240 ઓલિમ્પિયન, સહયોગી સ્ટાફ અને એસએઆઈ, ખેલ મહાસંઘના અધિકારીઓ પણ જ્ઞાન પથની શોભા વધારવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે."