નરેન્દ્ર મોદી જ PM પદના ઉમેદવાર : કર્ણાટક ભાજપનો ઠરાવ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કર્ણાટક એકમે લોકસભા ચૂંટણી 2014 માટેના ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને ઊભા રાખવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. આગામી સામાન્ય ચૂંટણી માટે ભાજપની ચૂંટણી ઝુંબેશ સમિતિના અધ્યક્ષ તરીકે મોદીની નિમણૂંક કરવા સંબંધે ભાજપના પ્રમુખ રાજનાથસિંહે પક્ષના ટોચના નેતાઓ સાથે શરૂ કરેલી વાતચીતના બીજા દિવસે ભાજપએ ઠરાવ પસાર કર્યો હતો.
નોંધનીય છે કે અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ પોતાના સંબંધિત રાજયોમાં મેળવેલી સિદ્ધિના સંદર્ભમાં મોદીની તુલનામાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને મુઠ્ઠી ઊંચેરા રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ગુજરાત તો વિકસીત અને સક્ષમ રાજય હતું જ પરંતુ શિવરાજસિંહે તો બિમાર રાજયને તંદુરસ્ત રાજયમાં પરિવર્તિત કર્યું છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય બન્યું છે.
ભાજપે હવે પક્ષના નુકસાનનું સમારકામ શરૂ કર્યું હોવાની છાપ ઉપસે એવા પ્રયાસો થરૂ કર્યા છે. વડા પ્રધાનપદના ઉમેદવાર અંગે વિપક્ષ ભાજપમાં આંતરવિગ્રહ હોવાનું કહી ભાજપનો ઉપહાસ કરવાનું શરૂ કરતાં ભાજપના પ્રમુખે વાત વાળી લેવાના પ્રયાસ રૂપે કહ્યું હતું કે અડવાણીના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે જયારે મોદી જ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે.