Bihar Reservation: નીતિશ સરકારને પટના હાઈકોર્ટથી મોટો ઝટકો, 65 ટકા અનામત કાયદો કર્યો રદ
Patna High Court Reservation: બિહારની નીતિશ સરકારને પટના હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે અનામતનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના આદેશને રદ કર્યો છે. પટના હાઈકોર્ટે પછાત વર્ગો, EBC, SC અને ST માટે 65 ટકા અનામતને ફગાવી દીધી છે.
કોર્ટે બિહાર આરક્ષણ અધિનિયમને ફગાવી દીધો છે, જેણે રાજ્યમાં સરકારી નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં અનામતને વધારીને 65 ટકા કરી હતી, તેને સમાનતા વિરોધી ગણાવી હતી.

પટના હાઈકોર્ટે બિહાર રિઝર્વેશન ઑફ વેકેન્સીસ ઇન પોસ્ટ્સ એન્ડ સર્વિસ (સુધારા) અધિનિયમ, 2023 અને બિહાર (શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં આરક્ષણ) (સુધારા) અધિનિયમ, 2023ને કલમ 14, 15 અને 16 હેઠળ સમાનતાની કલમનું ઉલ્લંઘન કરનાર ગણાવ્યું છે અને તેને અમાન્ય ગણીને રદ કરવામાં આવેલ છે.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કેવી ચંદ્રનની બેન્ચે 65 ટકા અનામતને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે આ મોટો નિર્ણય આપ્યો છે. તમને જણાવી દઈએ કે કોર્ટે અરજદાર ગૌરવ કુમાર અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ 11 માર્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
એ વાત જાણીતી છે કે ગત વર્ષે મુખ્યમંત્રી નીતિશ કુમારની મહાગઠબંધન સરકારે જાતિ આધારિત સર્વે રિપોર્ટના આધારે EBC, OBC, દલિતો અને આદિવાસીઓનું અનામત વધારીને 65 ટકા કરવા માટે કાયદો પસાર કર્યો હતો. 9 નવેમ્બર, 2023ના રોજ પસાર થયેલા કાયદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
