નવી દિલ્હી, 7 મે: પ્રિયંકા ગાંધી વાઢેરાની નીચ રાજનીતિવાળા નિવેદન પર પ્રહાર અને વળતા પ્રહારોનો સિલસિલો ચાલુ છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ નીચ જાતીને લઇને પ્રિયંકા પર પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે હું નીચલી જાતિમાં જન્મ્યો છું એટલાં માટે તેઓ મારા માટે આવા શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીના પ્રહાર બાદ આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ વાદવિવાદમાં કૂદી પડ્યા છે.
નરેન્દ્ર મોદીના પ્રહારોનો જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે નીચ કર્મો હોય છે જાતિ નહીં. રાહુલે અમેઠી પહોંચીને પત્રકારો સાથે વાતચીત કરતા આ ટિપ્પણી કરી હતી. અત્રે નોંધનીય છે કે પોતાની રેલીમાં મોદીએ પ્રિયંકાના નીચ રાજનીતિવાળા નિવેદનને લઇને પ્રિયંકાને નિશાનો બનાવી હતી.
મોદીએ જણાવ્યું હતું કે સત્યને પચાવી નહીં શકવાના કારણે મારી જાતિને ગાળ દેવા પર ઉતરી આવ્યા છે. હું એ વાતનો ઇનકાર નથી કરી શકતો કે હું નીચલી જાતિનો છું, પરંતુ શું મારો જન્મ નીચલી જાતિમાં થવાથી મેં કોઇ ગુનો કર્યો છે? શું આજ સુધી મેં કોઇનું અહિત કર્યું છે? હું નીચી જાતિમાં પેદા થયો તે સત્ય છે પરંતુ મારી રાજનીતિ નિમ્ન સ્તરની નથી.
આવો જોઇએ નીચ રાજનીતિના મુદ્દે કોણે શું કહ્યું...
શું કહ્યું હતું પ્રિયંકા ગાંધીએ
નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવતા પ્રિયંકાએ તેનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, તેમના શહિદ પિતાના અપમાનનો જવાબ ચૂંટણીમાં મળશે. નરેન્દ્ર મોદી નીચ રાજકારણ કરે છે. જેનો જવાબ કોંગ્રેસના કાર્યકર્તા આપશે. પ્રિયંકાએ કહ્યું હતું કે, અમેઠીની જનતા મોદીની આ હરકતને ક્યારેય માફ નહીં કરે. તેમના નીચ રાજકારણનો જવાબ મારા બુથ કાર્યકર્તા આપશે. અમેઠીના એક-એક બૂથ પરથી જવાબ આવશે.
પ્રિયંકાને મોદીનો જવાબ
મોદીએ જવાબ આપતા ટ્વીટર પર કહ્યું છેકે સામાજીક રીતે હું નીચલા વર્ગમાંથી આવ્યો છું તેથી મારું રાજકારણ એ લોકો માટે ‘નીચ રાજકારણ' જ હશે. બની શકે છેકે કેટલાક લોકોની દ્રષ્ટી એ બાબતો પર નથી પડતી કે નીચલી જાતિઓનો ત્યાગ, બલિદાન અને પુરુષાર્થની દેશને આ ઉંચાઇ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા છે.
અરૂણ જેટલી
ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીએ આ મુદ્દે જણાવ્યું હતું કે રાજકારણમાં આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરવો નિંદનીય બાબત છે, જેણે પણ આ પ્રકારના શબ્દનો પ્રયોગ કર્યો હોય તેણે આખા દેશના લોકોની માફી માગવી જોઇએ.
લાલુ પ્રસાદ યાદવ
આ વિવાદમાં લાલુ પ્રસાદ યાદવે પણ કૂદકો મારતા જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી નીચી જાતિના હોવાનો દાવો કરતા હોય તો શું એનો અર્થ એ છે કે તેઓ ગમે તે કરે, ગુજરાતમાં રમખાણો કરાવે. દેશનો વડાપ્રધાન આવો હોવો જોઇએ?
હવે રાહુલ ગાંધીના પ્રહાર
રાહુલ ગાંધીએ આજે અમેઠીમાં જણાવ્યું હતું કે હું એક મજબૂત લોકતંત્ર બનાવવા માંગુ છું એટલા માટે લોકોને અહીં વધારેમાં વધારે વોટિંગ કરવાની અપિલ કરું છું. રાહુલ ગાંધીને નીચ રાજનીતિ અંગે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે નીચ કર્મો હોય છે જાતિ નહીં, નીચી ગુસ્સાની રાજનીતિ હોય છે, જાતિ ક્યારેય નીચી નથી હોતી.