2014 પછી દેશમાં વિકાસનું વાતાવરણ ઊભું થયું: PM મોદી
નરેન્દ્ર મોદીનું સંબોધન
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે ભાજપના કાર્યકર્તાઓનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, 'વિકાસથી જ મુશ્કેલીઓ દૂર થશે. ઉત્તર પ્રદેશમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતની ચૂંટણી સમયે લોકો કહી રહ્યાં હતા કે જીએસટી બાદ ભાજપનો વિનાશ થશે. ગુજરાત ચૂંટણી પહેલાં પણ આ જ પ્રકારની અફવાઓએ જોર પકડ્યું હતું. પરંતુ તમામ ચૂંટણીઓમાં ભાજપને અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું. આજે પણ જનતાએ વિકાસનો જ માર્ગ પસંદ કર્યો છે. ચૂંટણી પરિણામોએ એક વાત સિદ્ધ કરી છે. દેશ રિફોર્મ માટે તૈયાર છે. લોકતંત્રમાં ચૂંટણીએ સરકારના કામના લેખાજોખા સમાન છે. આજે લોકોની અપેક્ષાઓ ઘણી ઊંચી છે. પહેલાની સરકાર પાસે આ દેશના સામાન્ય માનવીના મનમાં કોઇ આશા-અપેક્ષા નહોતી. એ અલગ યુગ હતો. આજેદેશનો સામાન્ય માનવી નવી આકાંક્ષાઓ, નવા સપના લઇને ચાલે છે. હિમાચલ પ્રદેશના પરિણામો સાબિત કરે છે કે, જો તમે વિકાસ નહીં કરો, ખોટા કામોમાં રોકાયેલા રહેશો તો જનતા તમને સ્વીકાર નહીં કરે.'
'આજના વાતાવરણમાં જો કોઇ સરકાર 5 વર્ષની સત્તા બાદ ફરી ચૂંટણી જીતે તો ઓ ઘણી મોટી વાત છે. ભારતના રાજકારણીય વિશ્લેષકો માટે સરકાર ફરીથી જીતે એ મોટી વાત છે. ગુજરાત એક અપવાદ છે. 1989થી 12 વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ગુજરાતમાં એક પછી એક ભાજપને ઐતિહાસિક જીત મળી છે. મારા માટે વ્યક્તિગત રીતે ગુજરાત ચૂંટણીનો વિજય ખુશીનો વિજય છે. લાંબા ગાળાથી જે વ્યક્તિ પ્રમુખ રહ્યો હોય, એના ખસ્યા બાદ જીત પર પ્રશ્નાર્થ મુકાય છે. પરંતુ આજે હું ખુશ છું કે, સાડા ત્રણ વર્ષ પહેલાં મારા ગુજરાત છોડ્યા બાદ કાર્યકર્તાઓએ જે રીતે ગુજરાતની કમાન સંભાળી છે એ વખાણવા લાયક છે. તેમણે ગુજરાતના વિકાસમાં કોઇ કસર બાકી નથી રાખી. આ માટે હું ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને વિશેષ અભિનંદન આપું છું. ચારે તરફથી હુમલાઓ થઇ રહ્યાં હતા. અપપ્રચારનું વાવાઝોડું હતું, કોંગ્રેસ પાર્ટી સિવાય પણ અનેક તાકાતો ગુજરાતને પાડવાનો પ્રયત્ન કરી રહી હતી. અનેક ષડયંત્રો, ચાલાકીઓ કરવામાં આવી. વિકાસ અંગે લોકો રાજી-નારાજી વ્યક્ત કરી શકે છે, પરંતુ વિકાસની મજાક ઉડાવે એ સાંખી ન લેવાય. હું જાણું છું કે,જ્યારથી એક્ઝિ પોલ આવ્યા ત્યારથી કેટલાક લોકો એટલા ચિંતામાં હતા કે ભાજપના જીતના આનંદને ઓછો કરવા માટે એ લોકો ભરપૂર તૈયારીઓ કરી રહ્યાં હતા. દરેકના પોતાના વિચાર હોઇ શકે છે, પરંતુ વિકાસના મુદ્દે સતત જીતતા દળને લોકો સ્વીકારશે એટલી આશા રાખવી ખોટી નથી.'
'દેશમાં અનેક ચૂંટણીઓ આવી, દરેક ચૂંટણીને અલગ રંગે રંગવામાં આવી. એક સાચી વાત એ છે કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી બાદની તમામ ચૂંટણીઓ વિકાસના રંગે રંગાયેલી છે. ભાજપ તમને પસંદ હોય કે ના હોય પરંતુ દેશના વિકાસના માર્ગથી ખસેડવાનું કામ ન કરો. ભાજપના હારવા પર જોઇએ તો લાંબી ઉજવણી કરો, પરંતુ દેશમાંથી વિકાસ કાઢવાનો પ્રયત્ન કરો. આજે ભારતમાં એવી સરકાર છે, જે નિર્ણયો લેવાથી ડરતી નથી. સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાથે આગળ વધી રહી છે. આ સરકારને આજે જનતાની મહોર પણ લાગી ગઇ છે. ગુજરાતના નાગરિકોને એક વાત કહીશ, 30 વર્ષ પહેલાં રાજ્યમાં જાતિવાદનું જહેર એટલું હતું કે, એને કાઢવામાં મારા જેવા લાખો કાર્યકર્તાઓનું જીવન ગયું છે. હવે આપણે વિકાસની જ દિશામાં આગળ વધવાનું છે. સત્તાભૂખને કારણે આ ચૂંટણીમાં કેટલાક લોકોએ ફરી એકવાર જાતિવાદનું બીજ રોપવાના પ્રયત્નો કર્યા છે, જેને ગુજરાતની જનતાએ નકાર્યા છે. પરંતુ હવે ગુજરાતે પહેલા કરતા વધુ જાગૃત રહેવું પડશે. જે થયું એ ભૂલી જાઓ, હવે આપણે સૌએ સાથે મળી વિકાસના માર્ગે આગળ વધવાનું છે.'