રેઇનકોટ બાદ હવે મોદીના સ્મશાનવાળા નિવેદન પર વિપક્ષના પ્રહારો
પીએમ મોદીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભા દરમિયાન કહ્યું હતું કે, ગામમાં જો કબ્રસ્તાન બનતું હોય તો સ્મશાન પણ બનવું જોઇએ. રમઝાનમાં વીજળી મળતી હોય તો દિવાળી પર પણ વીજળી મળવી જોઇએ.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભા દરમિયાન પીએમ મોદીના રમઝાન અને દિવાળી પર વીજળી અને સ્મશાન અને કબ્રસ્તાન વાળા નિવેદનનો કોંગ્રેસે આકરો વિરોધ કર્યો છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, વડાપ્રધાને આવા ખોટા અને ગેરજવાબદાર નિવેદનો ન કરવા જોઇએ. આનંદ શર્માએ ચૂંટણી પંચને પણ પીએમના આ નિવેદન પર કોગ્નિશન લેવાનો આગ્રહ કર્યો છે.
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક ચૂંટણી સભા સંબોધિત કરી રહ્યાં હતા, રેલીમાં તેમણે ઉત્તર પ્રદેશની સપા સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતા કહયું હતું કે, આ સરકાર એક જ ધર્મ માટે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે જો ગામમાં કબ્રસ્તાન બનતું હોય તો સ્મશાન પણ બનવું જોઇએ. રમઝાન પર વીજળી મળતી હોય તો દિવાળી પર પણ વીજળી મળવી જોઇએ. હોળી પર વીજળી મળતી હોય તો ઇદ પર પણ વીજળી મળવી જોઇએ. જાતિ-ધર્મના આધારે ભેદભાવ થવો ન જોઇએ. ઊંચ નીચ હોવી ન જોઇએ. સરકારનું કામ છે ભેદભાવ મુક્ત શાસન ચલાવવું.
અહીં વાંચો - અખિલેશ યાદવ યુપીની ચૂંટણી હારી ચૂક્યા છે - નરેન્દ્ર મોદી
કોંગ્રેસ બાદ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે પણ પીએમના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં કહ્યું કે, 'તમે PM છો સાહેબ! દેશમાં સ્મશાન બનાવતા કે ખેડૂતોના બિલ માફ કરતાં તમને કોઇએ રોક્યા છે શું? 56 ઇંચની છાતી ધરાવતો વ્યક્તિ ડરપોક રસ્તે જઇ દેશને મૂંઝવણમાં ન મૂકે કદી!'
देश ने ऐसा PM नहीं देखा जो सीने पर अपनी पार्टी का चिह्न चिपका धर्म और जाति की बात कर देशवासियों की भावनाएं भड़काने का काम करता है।
— Lalu Prasad Yadav (@laluprasadrjd) February 19, 2017
તેમણે આ અંગે અન્ય એક ટ્વીટ કરતાં લખ્યું કે, દેશમાં આવા પીએમ નથી જોયા, જે કોટ પર પોતાની પાર્ટીનું ચિહ્ન લગાવીને ધર્મ અને જાતિની વાત કરી દેશવાસીઓની ભાવનાને ભડકાવવાનું કામ કરે. આ તો તાનાશાહી વડાપ્રાધાન છે. દેશના ટુકડા ટુકડા કરી દેશનો વિનાશ નોતરશે. સાહેબ તમે પીએમ છો, આટલી છીછરી, નાની અને ખોટી વાતો ન કરવી જોઇએ. પીએમ એ દળ અને દ્વેષની ભાવનાથી ઉપર ઉઠવું જોઇએ.