PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ
પીએમ મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિએ દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ગાંધીજીના સમાધિસ્થળે પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા તેમણે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી. દિલ્હી રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદી સાથે જોવા મળ્યા હતા. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને લાલા કૃષ્ણ અડવાણીએ પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા પહેલાં જ પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમના જન્મદિવસ પર યાદ કર્યા હતા. તો રાષ્ટ્રપતિ કોવિંદ મહાત્મા ગાંધી બાદ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજિલ આપવા પહોંચ્યા હતા. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના જવાનો અને ખેડૂતોને પ્રેરિત કર્યા, તેમણે દેશને એક કુશળ નેતૃત્વ આપ્યું. તો મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં તેમણે લખ્યું કે, હું બાપુને નમન કરું છું, તેમના વિચારો અને સિદ્ધાંતોએ દુનિયાભારમાં લાખો લોકોને પ્રેરિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. ગુજરાતમાં તેઓ સૌપ્રથમ પોરબંદર ખાતે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની પણ મુલાકાત લેશે. પોરબંદર ખાતે જે ઘરમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો, એ જ સ્થળને પોરબંદરના રહેવાસીઓ દ્વારા મહાત્મા ગાંધી અને કસ્તૂરબાની યાદમાં કીર્તિ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે.