Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!
PM Narendra Modi on Strait of Hormuz: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને તેલ પુરવઠા પર વધતા દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો સંદેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દેશની ઇથેનોલ બ્લેન્ડિંગ નીતિએ ભારતને કાચા તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મોટી રાહત આપી છે. નોઈડાના જેવરમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન દરમિયાન તેમણે આ નીતિને ભારતની ઉર્જા સુરક્ષા માટે 'ગેમચેન્જર' ગણાવી હતી.

"ઇથેનોલ ન હોત તો આયાત હજુ વધી હોત"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના શેરડી પકવતા ખેડૂતોનો ખાસ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે જો ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ ન હોત, તો ભારતને આશરે 4.5 કરોડ બેરલ કાચું તેલ વધુ આયાત કરવું પડ્યું હોત. તેની સીધી અસર દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર પડી હોત. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતોના યોગદાનથી દેશે મોટી માત્રામાં વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે અને આ 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં એક મોટું પગલું છે.
🔹 શું છે E20 અને કેમ મહત્વનું છે?
ભારત સરકારનો ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવા પર આધારિત છે, જેનાથી કાચા તેલનો વપરાશ ઘટે છે. ગયા વર્ષે ભારતે 20 ટકા ઇથેનોલ મિશ્રણ એટલે કે E20 નો લક્ષ્યાંક નિર્ધારિત સમય કરતાં પાંચ વર્ષ વહેલો હાંસલ કરી લીધો હતો. હવે 1 એપ્રિલથી દેશભરમાં ઓઈલ કંપનીઓ માટે E20 પેટ્રોલ સપ્લાય કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારે 2030 સુધીમાં આ મિશ્રણને 30 ટકા સુધી વધારવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે.
🔹 10 વર્ષમાં ₹1.36 લાખ કરોડની બચત
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના આંકડા મુજબ, ઇથેનોલ બ્લેન્ડિંગને કારણે ભારતે છેલ્લા 10 વર્ષમાં અંદાજે ₹1.36 લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે. આ માત્ર આર્થિક રીતે ફાયદાકારક નથી, પરંતુ તેનાથી કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે.
🔹 મધ્ય પૂર્વ સંકટની અસર અને ભારતની વ્યૂહરચના
પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે કાચા તેલની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. ભારત તેની જરૂરિયાતનું 40 ટકાથી વધુ તેલ આ જ ક્ષેત્રમાંથી આયાત કરે છે, આવી સ્થિતિમાં આ સંકટ સીધું જ દેશની ઉર્જા સુરક્ષા સાથે જોડાયેલું છે. મોદીએ કહ્યું કે સરકાર દરેક સ્તરે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે અને દેશમાં ઇંધણની કોઈ અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
🔹 પીએમ મોદી - 'એકજૂથ રહીને સંકટનો સામનો કરીએ'
પોતાના સંબોધનના અંતે પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ આ વૈશ્વિક સંકટના સમયે ધીરજ અને એકતા જાળવી રાખે. તેમણે કહ્યું કે ભારતને 'વિકસિત ભારત' બનાવવા માટે આવા પડકારોનો સામનો મળીને કરવો પડશે. વડાપ્રધાન મોદીએ ખાતરી આપી હતી કે ભારત પૂરી તાકાત સાથે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે અને દેશહિત સર્વોપરી રહેશે.












Click it and Unblock the Notifications
