નોટબંધી: PM મોદીએ ગણાવ્યા ફાયદા, રાહુલ ગાંધીએ કહ્યું, ત્રાસવાદ
નોટબંધી પર રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી આવ્યા આમને સામને. ટ્વીટ દ્વારા રાહુલ ગાંધી અને વડાપ્રધાને નોટબંધી વિશે જણાવ્યુ. આ અંગે વધુ વાંચો અહીં.
8 નવેમ્બર અને 2017ના રોજ નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થયું છે. નોટબંધી મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. 8 નવેમ્બરના દિવસને કોંગ્રેસ તથા અન્ય વિપક્ષોએ કાળા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. તો સામે ભાજપ આ દિવસને એન્ટિ બ્લેક મની ડે - કાણા નાણાં વિરોધી દિવસ તરીકે ઉજવી રહ્યું છે. બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો દ્વારા લોકોને નોટબંધીના ફાયદા ગણાવ્યા હતા અને દેશવાસીઓને તેમના સહયોગ બદલ ધન્યવાદ કહ્યું હતું. સાથે જ એક સર્વે દ્વારા પીએમ મોદીએ લોકોનો અભિપ્રાય પણ જાણવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીને ત્રાસદાયક કહેતાં ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, નોટબંધીથી પતન પામેલા પ્રમાણિક લોકો સાથે કોંગ્રેસ ઊભી છે.
અમિત શાહનું હસ્તાક્ષર અભિયાન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નોટબંધીની સફળતા નિમિત્તે હસ્તાક્ષર અભિયાનની શરૂઆત કરી છે. તેઓ જૂનાગઢમાં આ અભિયાનમાં જોડાયા હતા. કેન્દ્ર સરકાર નોટબંધીને દેશહિતમાં લેવાયેલ નિર્ણય ગણાવી રહી છે, ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે, નોટબંધીએ મધ્યપ્રદેશમાં 6 નાગરિકોનો જીવ લીધો અને 28 કર્મચારીઓ તથા મજૂરો બેરોજગાર થયા. છત્તીસગઢ ખાતે કોંગ્રેસે નોટબંધી વિરુદ્ધ મેરેથોન આયોજિત કરી હતી. તો કેન્દ્ર સરકારે નોટબંધીના ફાયદા ગણાવતા કહ્યું કે, આને કારણે અત્યાર સુધીમાં 2.24 લાખ નકલી કંપનીઓ બંધ થઇ ચૂકી છે. નોટબંધી બાદ બેંકોએ પોતાના વ્યાજ દરોમાં લગભગ 1 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
I bow to the people of India for steadfastly supporting the several measures taken by the Government to eradicate corruption and black money. #AntiBlackMoneyDay
— Narendra Modi (@narendramodi) November 8, 2017
PMએ ગણાવ્યા નોટબંધીના ફાયદા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું છે કે, ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનો જડમૂળથી વિનાશ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયોનું દ્રઢતાપૂર્વક સમર્થન કરવા માટે હું ભારતના લોકો સામે શિષ નમાવું છું. 125 કરોડ ભારતીયો નિર્ણાયર લડાઇ લડ્યા અને જીત મેળવી. આ સાથે જ તેમણે એક શોર્ટ ફિલ્મ પણ ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. આ વીડિયોમાં આંકડાઓ દ્વારા એ બતાવવાનો પ્રયત્ન થયો હતો કે, નોટબંધી આપણી અર્થવ્યવસ્થા માટે કઇ રીતે ફાયદાકારક સાબિત થઇ છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોટબંધીને કારણે દેશમાં જમા કાળુ નાણાં બેંકોમાં આવ્યું અને આજે સરકાર પાસે એ માલિકોના નામ અને સરનામાં હાજર છે. 23 લાખ બેંક ખાતાઓમાં જમા થયેલ 3.68 લાખ કરોડ રોકડની તપાસ થશે. નોટબંધી એ આંતકવાદ અને નક્સલવાદ પર મોટા પ્રહાર સમાન હતી. કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનાઓમાં 75 ટકા ઘટાડો થયો અને નક્સવાદમાં પણ 20 ટકા ઘટાજો નોંધાયો.
Demonetisation is a tragedy. We stand with millions of honest Indians, whose lives & livelihoods were destroyed by PM’s thoughtless act.
— Office of RG (@OfficeOfRG) November 8, 2017
RGએ નોટબંધીને કહ્યું ત્રાસવાદ
રાહુલ ગાંધીએ પણ ટ્વીટ દ્વારા જ નોટબંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે નોટબંધીને ત્રાસદાયક ગણાવતાં લખ્યું કે, નોટબંધી એક ત્રાસવાદ છે. અમે એ લાખો પ્રમાણિક ભારતીયો સાથે ઊભા છીએ, જેમનું જીવન અને રોજગાર પીએમના આ વિચારહીન કૃત્યને કારણે વેરણ-છેરણ થઇ ગયું. સાથે જ નોટબંધી દરમિયાન વાયરલ થયેલ એક તસવીર ટ્વીટ કરતા તેમણે લખ્યું છે કે, એક આંસુ પણ સત્તા માટે ખતારનાક સાબિત થાય છે. તમે આંખોને દરિયામાં પલટાતા જોઇ નથી.