બજેટ 2019: બજેટમાં બધાને રાહત આપવાની કોશિશ કરવામાં આવીઃ પીએમ મોદી
વચગાળાના બજેટ બાદ દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આ બજેટમાં બધાનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે શુક્રવારે પોતાનું વચગાળાનું બજેટ રજૂ કર્યુ. આ બજેટમાં કેન્દ્ર સરકારે ઘણી મોટી યોજનાઓનું એલાન કર્યુ. વચગાળાના બજેટ બાદ દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આ બજેટમાં બધાનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ બજેટથી બધા વર્ગોને રાહત આપવાની કોશિશ કરવામાં આવી છે. આ બજેટમાં ખેડૂત ઉન્નતિથી લઈને, વેપારીઓની પ્રગતિ સુધી, આવકવેરાથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, હાઉસિંગથી લઈને હેલ્થકેર સુધી, ઈકોનોમીને નવી ગતિથી લઈને ન્યૂ ઈન્ડિયાના નિર્માણ સુધી બધાનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.
સરકારે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી
પીએમ મોદીએ કહ્યુ કે આ બજેટથી 3 કરોડથી વધુ મધ્યમ વર્ગના વેરો આપનાર અને 30-4- કરોડ શ્રમિકોને સીધો લાભ મળશે. ગરીબી ઝડપથી ઘટી રહી છે. વધતા મિડલ ક્લાસની આશા-આકાંક્ષાને બળ મળશે એટલા માટે સરકારે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. હું પગારદાર અને મધ્યમ વર્ગને ટેક્સમાં મળેલી છૂટ માટે અભિનંદન આપુ છુ. લાંબા સમયથી એ માંગ હતી કે 5 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સમાંથી મુક્ત કરવામાં આવે. જે અમે પૂરી કરી છે.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના
સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવી રાહત પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિનો લાભ 12 કરોડથી વધુ એ ખેડૂતોને મળશે જેમની પાસે 5 એકર કે 5 એકરથી ઓછી જમીન છે. વળી, મજૂરો માટે સરકાર દ્વારા કરવામાં આવેલી ઘોષણાઓ પર તેમણે કહ્યુ કે અસંગઠિત ક્ષેત્રના મજૂરો, લારી ચલાવનારા લોકો, ઘરેલુ સહાયકો વગેરેની ચિંતા ક્યારેય કરવામાં નથી આવી, તેમને તેમના નસીબ પર છોડી દેવામાં આવ્યા. તેમની સંખ્યા લગભગ 40-42 કરોડ છે. તેમના માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના લાવવામાં આવી છે.
વેપારીઓ માટે કોઈ અલગ મંત્રાલય
પીએમ મોદીએ કહ્યુ કે સરકાર રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને માછલી પાલન માટે અલગ વિભાગ બનાવશે. જેનો ખેડૂતોને સીધો લાભ મળશે. વળી, ધૂમંતુ સમાજ માટે એક વેલ્ફેર બોર્ડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યોગ્ય ઓળખ થયા બાદ સરકારની યોજનાઓનો લાભ તેમને પણ મળશે. વેપારીઓ માટે કોઈ મંત્રાલય હોય એ વિચારથી એક નવી વ્યવસ્થા વિકસિત કરવા માટે અમે આગળ વધી રહ્યા છે. દેશના વેપારી વર્ગ અને તેમના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે ડીઆઈપીપીને રીસ્ટ્રક્ચર કરવામાં આવ્યુ છે.
સર્વવ્યાપી, સર્વસ્પર્શી, સર્વસમાવેશી સર્વોત્કર્ષને સમર્પિત
પીએમ મોદીએ કહ્યુ કે આ બજેટ ગરીબને શક્તિ આપશે, ખેડૂતને મજબૂતી આપશે, શ્રમિકોને સમ્માન આપશે, મધ્યમ વર્ગના સપના સાકાર કરશે, ઈમાનદાર ટેક્સપેયર્સનું ગૌરવગાન કરશે, ટ્રેડર્સને સશક્ત કરશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને ગતિ આપશે, અર્થવ્યવસ્થાને નવુ બળ આપશે, દેશનો વિશ્વાસ મજબૂત બનાવશે. આ બજેટ ન્યૂ ઈન્ડિયાના લક્ષ્યો મેળવવા માટે દેશના 130 કરોડ લોકોને નવી ઉર્જા આપશે. આ બજેટ સર્વવ્યાપી, સર્વસ્પર્શી, સર્વસમાવેશી છે, સર્વોત્કર્ષને સમર્પિત છે.
આ પણ વાંચોઃ બજેટ 2019: પૂર્વ પીએમ મનમોહન સિંહે વચગાળાના બજેટને ગણાવ્યુ 'ચૂંટણી બજેટ'