નવી દિલ્હી, 12 મે : લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. પરિણામો તો 16 મેના રોજ જાણવા મળશે. પણ દેશમાં ફરી વળેલી મોદી લહેરને જોતા ભાજપને પૂરો વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં તેઓ ચોક્કસથી દિલ્હીની ગાદી મેળવી શકશે. આ જ આશાથી પરિણામો આવે એ પહેલા જ ભાજપે 'ફયુચર પ્લાન' તૈયાર કરી દીધો છે.
ભાજપના ફ્યુચર પ્લાનમાં પાર્ટીના નેતાઓ માટે કેવા લાડવા છે તેનો અંદાજ રાજકીય નિષ્ણાતોએ લગાવવાનો શરૂ કરી દીધો છે. આ અંગેનો સંકેત મોદીએ શનિવારે સંઘના વડા મોહન ભાગવત સાથેની બેઠક ઉપરથી લગાવવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં મોદીએ ભાગવત સાથે ફ્યુતર પ્લાન અંગે ચર્ચા કરી હોવાનું કહેવાય છે.
કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભાગવતને સ્પષ્ટ જણાવી દીધું હતું કે જો સરકાર બનશે તો લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવશે.
મોદીની મુલાકાત બાદ રવિવાર, 11 મેના રોજ ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહ પણ સંઘના નેતાઓને મળ્યા હતા. બે કલાક ચાલેલી આ બેઠકમાં પ્લાનની માહિતી રાજનાથને આપવામાં આવી હતી અને સાથોસાથ એવુ પણ કહી દેવામાં આવ્યું હતું કે કોઇપણ પરિસ્થિતિમાં મોદી જ વડાપ્રધાન પદના દાવેદાર રહેશે.
બેઠકો ઓછી આવે અને ગઠબંધનમાં મોદીના નામ પર સહમતી ન થાય તો ભાજપ તો અન્ય કોઇ વિકલ્પ પસંદ કરવાને બદલે વિપક્ષમાં બેસવા માટે પણ તૈયાર રહે. સંઘ અનુસાર પ્રમાણે મોદીએ ભાગવતને કહ્યુ હતુ કે સરકાર બનવાની સ્થિતિમાં મંત્રીમંડળ પસંદ કરવામાં તેમને સંપુર્ણ આઝાદી મળે કે જેથી તેઓ પોતાના વિશ્વાસુઓ અને પસંદગીની ટીમ સાથે કામ કરી શકે.
મોદી સાથેની મુલાકાત બાદ સંઘે અડવાણી અને જોશીનું મન ઢંઢોળવાની જવાબદારી રાજનાથને સોંપી છે. સંઘ ઇચ્છે છે કે અડવાણી ખુદ સરકારમાં સામેલ ન થવાની જાહેરાત કરે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પરિણામ આવ્યા બાદ 16મીએ સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં સંઘ તરફથી મળેલા દિશા-નિર્દેશોના આધાર પર આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.