પ્રધાનમંત્રીએ શ્રીરામ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધવાનો કર્યો ઇનકાર
પ્રધાનમંત્રી કાર્યાલયના સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર એસઆરસીસીને 19 ફેબ્રુઆરીના રોજ ખેદ વ્યક્ત કરવા માટે એક પત્ર મોકલવામાં આવ્યો છે. આના માટેનું કારણ એવું આપવામાં આવ્યું છે કે સંસદ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી સરકારી કાર્યક્રમો ઉપરાંત અન્ય કોઇ આયોજનોમાં ભાગ નથી લેતા.
આ પહેલા કોલેજના પ્રાચાર્ય પી સી જૈને જણાવ્યું હતું કે તેમણે વાર્ષિક દિવસ સમારંભ માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપ્યું છે અને તેમના જવાબની રાહ જોઇ રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી સંસદના બજેટ સત્રમાં વ્યસ્ત છે પરંતુ કોલેજને એવી આશા છે કે તેઓ બજેટ સત્રમાં અવકાશના સમયની કોઇ તારિખ આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ 6 ફેબ્રુઆરીના રોજ એસઆરસીસીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. મોદીએ કરેલા વિકાસલક્ષી ભાષણમાં યુવાનોને કેન્દ્રમાં રાખ્યા હતા. મોદીના ભાષણથી વિદ્યાર્થીઓ કાયલ થઇ ગયા હતા. આચાર્યએ જણાવ્યું કે મોદીને કોલેજમાં આમંત્રણ આપી અમે કોઇ ખોટું ન્હોતું કર્યું. લોકતંત્રમાં અમને દરેક પ્રકારના વિચારોને સાંભળવાનો અધિકાર છે માટે કોલેજે કઇ ખોટું નથી કર્યું.