ભવાનીપુર કેસમાં 8 લોકોની ધરપકડ, ભાજપે કડક કાર્યવાહીની કરી માગ
સોમવારના રોજ (27 સપ્ટેમ્બરના રોજ) પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હોબાળા બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
કોલકાતા : સોમવારના રોજ (27 સપ્ટેમ્બરના રોજ) પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હોબાળા બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસ ભવાનીપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી પોલીસે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને મળ્યા હતા. બંગાળમાં ચૂંટણી અને હિંસા પર્યાય બની ગયા છે. દીદી (મમતા બેનર્જી) અને તેમના પક્ષના કાર્યકરો હિંસામાં વધુ વિશ્વાસ ધરાવે છે. દિલીપ ઘોષ પર હુમલો દર્શાવે છે કે, TMC સરકાર હિંસાનેજ લોકશાહી માની લીધી છે.
પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં યોજાનારી પેટા ચૂંટણીના પ્રચારનો 27 સપ્ટેમ્બરના રોજ છેલ્લો દિવસ હતો. પ્રચારના છેલ્લા દિવસે ભવાનીપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષને કથિત રીતે ટીએમસી કાર્યકરોએ ઘેરી લીધા હતા.
પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે, દિલીપ ઘોષના સુરક્ષા કર્મચારીઓએ પિસ્તોલ કાઢવી પડી હતી. ચૂંટણી પંચે હવે આ સમગ્ર મામલે મમતા બેનર્જીની સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી પંચે ભવાનીપુરમાં 27 સપ્ટેમ્બરના રોજ થયેલી હંગામો અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી પંચે રાજ્ય સરકારને સાંજે 4 વાગ્યા સુધીમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
પશ્ચિમ બંગાળ ભાજપના નેતા સુભેન્દુ અધિકારીએ ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચેની અથડામણ પર કહ્યું છે કે, અહીંની સ્થિતિ ખૂબ નાજૂક છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ કંઈ કરી રહ્યું નથી. ચૂંટણી પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. અહીં લોકશાહી ચૂંટણી માટે કોઈ વાતાવરણ નથી.