અંગ્રેજી અંગે રાજનાથના નિવેદનથી રાજકીય ઘમાસાણ
કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ જણાવ્યું કે ભાજપના અધ્યક્ષ ભલે અંગ્રેજીની ટીકા કરી રહ્યા છે, પણ હકીકત એ છે તે તેમણે પક્ષનું વિઝન ડોક્યુમેન્ટ એવા લોકો પાસેથી આઉટ સોર્સ કરાવ્યું છે જેઓ માત્ર અંગ્રેજી જાણે છે.આ મધ્યકાલીન માનસિકતા છે અથવા તો માત્ર દેખાડો છે.
તિવારીએ જણાવ્યું કે ભાષાને લઇને વિવાદ ઉભો કરવાનો આ પ્રયત્ન અને એમ કહેવું કે એક ભાષા સારી છે અને બીજી ખરાબ તેનાથી દેશ મજબૂત બનતો નથી. એક જવાબદાર રાજકીય પક્ષ પાસેથી આવી આશા રાખી ના શકાય.
તિવારીના નિવેદનની ઝાટકણી કાઢતા ભાજપના નેતા શાહનવાઝ હુસૈને જણાવ્યું કે કોંગ્રેસને અંગ્રેજી અને તેનાથી વધારે અંગ્રેજીયત પર ગર્વ છે. અંગ્રેજો પોતાનો વારસો કોંગ્રેસને આપીને ગયા છે. કારણ કે અમે અંગ્રેજી પર કશુંક કહીએ તો તેનું ખંડન ઇંગ્લેન્ડ નહીં પણ કોંગ્રેસમાંથી જ આવે છે. અમે કોઇ ભાષાનો વિરોધ નથી કરતા પણ અંગ્રેજીતનો વિરોધ કરી રહ્યા છીએ. કોંગ્રેસે એવી સ્થિતિ બનાવી છે કે જેમને અંગ્રેજી આવડતું નથી તેઓ બુદ્ધુ છે.
આ મુદ્દે ભાજપના મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે અમે અંગ્રેજી રીડર્સને આઉટ સોર્સ કરીએ છીએ, પણ અંગ્રેજી લીડર્સને નહીં. દરેક મુદ્દે રાજકારણ કરવું એ કોંગ્રેસની આદત બની ગઇ છે.