રાષ્ટ્રપતિના ભાષણ સાથે આજથી શરૂ થશે બજેટ સત્ર, ત્રણ તલાક પર નજર
બજેટ સત્રની શરૂઆત આજથી થશે. આ માટે પરંપરા મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને સદનોને સંબોધિત કરશે. જાણો આ સમાચાર અંગે વિગતવાર અહીં
સોમવારે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ સાથે દિલ્હીમાં બજેટ સત્રની સંસદમાં શરૂઆત થશે. આ હેઠળ સવારે 11 વાગે બંને સદનો સેન્ટ્રલ હોલ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંયુક્ત બેઠક બોલાવી સદનને સંબોધિત કરશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ બન્યા પછી રામનાથ કોવિંદનું આ પહેલું ભાષણ હશે. આ ભાષણમાં રાષ્ટ્રપતિ કોવિંદ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અને આવનારા વર્ષમાં સરકારનું વિઝન લોકો સામે રજૂ કરી શકે છે. દર વર્ષે તે પરંપરા રહી છે કે રાષ્ટ્રપતિના ભાષણ સાથે જ બજેટ સત્રની શરૂઆત થાય. જે મુજબ આ વખતે પણ આ પરંપરા જળવાશે.
નોંધનીય છે કે પરંપરા મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન સુધી પોતાના અંગ રક્ષક અને ઘોડેસવાર દસ્તા સાથે બગ્ગીમાં બેસીને કે પોતાની કારમાં બેસીને આ વિશેષ સત્રને સંબોધિત કરવા જશે. અને રાષ્ટ્રપતિના ભાષણ પછી ઉપરાષ્ટ્રપતિ સંક્ષિપ્તમાં ભાષણનો પહેલો અને છેલ્લો પેરેગ્રાફ અંગ્રેજીમાં અનુવાદ કરી વાંચશે. આ પરંપરાને વર્ષોથી નિભાવવામાં આવે છે અને તેનું ખાસ મહત્વ રહેલું છે.
ઉલ્લેખનીય છે કે આ બજેટ સત્ર અનેક રીતે મહત્વનું સાબિત થવાનું છે. સૌથી પહેલા તો 1 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રી અરુણ જેટલી વર્ષ 2018-19 માટે સામાન્ય બજેટ રજૂ કરશે. સાથે જ આ સત્રમાં ત્રણ તલાક બિલ પસાર કરાવવા પર ભાજપ ખાસ ભાર મૂકશે. અને બની શકે કે આ બજેટ સત્ર પૂર્ણ થતા આ બિલ પસાર થઇ જાય. વધુમાં બજેટ સત્ર શરૂ કરતા પહેલા સર્વદલીય બેઠકમાં સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે પણ સરકાર દ્વારા બજેટ સત્ર દરમિયાન ત્રણ તલાક બિલ પસાર કરવાની વાત ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે બજેટ પહેલા પરંપરા મુજબ સર્વદલીય બેઠક મળી છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સમેત, રાજનાથ સિંહ, નાણાં મંત્રી અરુણ જેટલી, સંસદીય કાર્ય મંત્રી અનંત કુમાર કોંગ્રેસના વિપક્ષના નેતા મલ્લિકાઅર્જૂન, સપા નેતા મુલાયમ સિંહ, ટીએમસીના ડેરેક ઓબ્રાયન સમેત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.