પંજાબમાં આજે મંત્રીઓનો શપથ ગ્રહણ સમારંભ, આ 10 ચહેરા હશે કેબિનેટનો ભાગ
પંજાબની આમ આદમી પાર્ટીની સરકારમાં આજે 10 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે.
નવી દિલ્લીઃ પંજાબની આમ આદમી પાર્ટીની સરકારમાં આજે 10 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. પંજાબ રાજભવન ખાતે 11 વાગે મંત્રીઓની શપથવિધિ યોજાશે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પંજાબ કેબિનેટમાં શામેલ મંત્રીઓને શપથ લેવડાવશે. કેબિનેટમાં જે 10 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવશે તેમાં હરપાલ સિંહ ચીમા, ડૉ. બલજીત કૌર, હરભજન સિંહ ETO, ડૉ. વિજય સિંગલાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગુરમીત સિંહ મીત હાયર અને હરજોત સિંહ બેન્સ પણ મંત્રી તરીકે શપથ લેશે. બીજી તરફ લાલચંદ કટારુચક, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર અને બ્રમ શંકર(ઝિમ્પા) પણ મંત્રી બનશે. શપથ ગ્રહણ સમારંભ બાદ બપોરે 12.30 વાગે કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે. તમને જણાવી દઈએ કે ભગવંત માનની કેબિનેટમાં 2 ખેડૂત, ત્રણ વકીલ, બે ડૉક્ટર, એક સામાજિક કાર્યકર્તા, એન્જિનિયર અને એક વ્યવસાયી સહિત બીજા ક્ષેત્રોના મહારથી ધારાસભ્યોનુ મિશ્રણ હશે. 10 ધારાસભ્યોમાંથી 5 માલવાથી, 4 માઝાથી અને એક દોઆબા ક્ષેત્રમાંથી છે.
સૂત્રો મુજબ કુલતાર સિંહ સંધવાન પંજાબ વિધાનસભાના સ્પીકર હશે. તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી બીજી વાર ધારાસભ્ય બન્યા છે. તમને જણાવી દઈએ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ગુરુવારે 16મી પંજાબ વિધાનસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા. રાજ્ય વિધાનસભાનુ પ્રથમ સત્ર ગુરુવારથી જ શરુ થઈ ગયુ છે. ઈન્દરબીજ સિંહ નિજ્જર, પ્રોટેમ સ્પીકર(કામચલાઉ એસેમ્બલી સ્પીકર)એ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા જેમાંથી મોટાભાગના પ્રથમ વખતના ધારાસભ્યો છે. પ્રથમ મુખ્યમંત્રી ભગવંત માને ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા.












Click it and Unblock the Notifications
