બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓ માટે પંજાબ સરકારે 2500 કરોડનું સ્પેશિયલ પેકેજ માંગ્યુ!
પંજાબ સરકારે રાજ્યના સરહદી જિલ્લાઓ માટે કેન્દ્ર સરકાર પાસેથી સ્પેશિયલ પેકેજની માંગ કરી છે. પંજાબના નાણાંમત્રી હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકાર પાસે આ પેકેજની માંગણી કરી છે.
ચંદીગઢ : પંજાબ સરકારે રાજ્યના સરહદી જિલ્લાઓ માટે કેન્દ્ર સરકાર પાસેથી સ્પેશિયલ પેકેજની માંગ કરી છે. પંજાબના નાણાંમત્રી હરપાલ સિંહ ચીમાએ કેન્દ્ર સરકાર પાસે આ પેકેજની માંગણી કરી છે. તેમણે સરહદી જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસ, પાક સુરક્ષા, પરાળી સળગાવવા બાબકે, સીસીએલના મુદ્દાનું નિરાકરણ, પોલીસ દળનું આધુનિકીકરણ સહિત અમૃતસર અને ભટિંડાથી વંદે ભારત ટ્રેનો અને રાજપુરા-ચંદીગઢ રેલવેની લિંક વધારવા માંગ કરી છે.

નાણાંમત્રી હરપાલ સિંહ ચીમાએ આ માંગણી 2023-24 નાણાંકિય વર્ષ માટે કરી છે. તેમણે કેન્દ્રીય બજેટ 2023-24 માટે આ વિશેષ પેકેજ આપવાની વાત કરી છે. તેમણે પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, તરનતારન, ફિરોઝપુર અને ફાઝિલ્કામાં ઔદ્યોગિક વિસ્તારોના વિકાસની વાત કરતા 2500 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ માંગ્યુ હતું.
હરપાલ સિંહ ચીમાએ સીસીએલનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ડો. રમેશ ચંદની અધ્યક્ષતામાં 15મા નાણાપંચ દ્વારા સૂચિત કરાયેલી પેટા સમિતિએ તેના અહેવાલમાં પંજાબ સરકારના 6155 કરોડના દાવાને સમર્થન આપ્યું છે. તેમણે પેટા સમિતિના અહેવાલ દ્વારા પ્રમાણિત પંજાબના વાજબી દાવાને વહેલામાં વહેલી તકે ઉકેલીને પંજાબને બોજમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી.
શુક્રવારે નવી દિલ્હી માણેકશા સેન્ટર ખાતે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે પ્રી-બજેટ મીટિંગ દરમિયાન હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે, પંજાબ સરહદી રાજ્ય છે. આ કારણોસર, અહીં રોકાણકારો અને ઉદ્યોગો વધારવા માટે તેને વિશેષ કેસ તરીકે ગણવામાં આવે.












Click it and Unblock the Notifications
