માઈનિંગને લઈને પંજાબ સરકારે જાહેર કર્યો નવો આદેશ, વૉટ્સએપથી મળશે મંજૂરી
મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે માટી ખોદકામની મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવી છે.
લુધિયાણાઃ મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે માટી ખોદકામની મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવી છે. માન સરકારના આ નિર્ણયથી હવે પંજાબ રાજ્યમાં 2 એકર સુધીના વિસ્તારમાંથી 3 ફૂટ સુધીની માટી ખોદવા સંબંધિત મંજૂરી વૉટ્સએપ મેસેજ દ્વારા લઈ શકાશે. પંજાબ રાજ્યના ખાણ અને ભૂમિ-વિજ્ઞાન મંત્રી હરજોત સિંહ બેન્સે આ માહિતી આપી હતી.
આ સંદર્ભે માહિતી આપતા બેન્સે જણાવ્યુ હતુ કે તેમના ધ્યાનમાં આવ્યુ છે કે રાજ્યમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા 'રેતી અને કાંકરી માઈનિંગ પૉલિસી-2021' હેઠળ 2 એકર સુધીના વિસ્તારમાં 3 ફૂટ માટી હાથ વડે સાફ કરવામાં આવી હતી. જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને ઑફિસના ચક્કર પણ લગાવવા પડતા હતા. આ સાથે જો કોઈ વ્યક્તિએ મશીનનો ઉપયોગ કર્યો હોય તો તેની સામે માઈનીંગનો ગુનો નોંધવામાં આવતો હતો.
તેમણે માહિતી આપી હતી કે મુખ્યમંત્રી ભગવંત માને આ મુશ્કેલ પ્રક્રિયાને સરળ બનાવવા માટે મશીનોના ઉપયોગને મંજૂરી આપી છે અને આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે 2 એકર સુધીના વિસ્તારમાંથી 3 ફૂટ સુધીની માટી ખોદવાની મંજૂરી વૉટ્સએપ દ્વારા પહોંચાડવાનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ વટહુકમ દ્વારા 2 એકર સુધીના વિસ્તારમાંથી 3 ફૂટ સુધીની માટી ખોદવાની મંજૂરી વૉટ્સએપ મેસેજ દ્વારા પ્રાપ્ત થશે.
મંજૂરી મેળવવા માટે અરજદારે પોતાનુ નામ/પિતાનું નામ, ગામનુ નામ, ગામના સરપંચનુ નામ, તાલુકા/જિલ્લાનુ નામ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને ખોદકામ કરવાની જગ્યાનો રેવન્યુ રેકોર્ડ રજૂ કરવાનો રહેશે. વૉટ્સએપ નંબર 99140-09095 પર મોકલશે. આનાથી સામાન્ય લોકો અને જમીનદારો માટે ખેતરમાંથી માટી તેમના ઘરોમાં અથવા અન્ય હેતુઓ માટે ખસેડવાનુ સરળ બનશે.
મંત્રી હરજોત બેન્સે કહ્યુ કે જો માહિતી સંપૂર્ણ અને સાચી હશે તો નોડલ ઑફિસર અરજદારને વૉટ્સએપ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપશે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ ખોટી હકીકતો આપીને ખોદકામની પરવાનગી લેશે અને ખાતાકીય તપાસ દરમિયાન ખોદકામનો કેસ સામે આવશે તો સંબંધિતો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.