પઠાણકોટઃ સેનાના વેશમાં 6 આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી, પંજાબમાં હાઈ અલર્ટ
પઠાણકોટઃ સેનાના યૂનિફોર્મમાં ઘૂસ્યા 6 સંદિગ્ધ આતંકીઓ
નવી દિલ્હીઃ પંજાબના પઠાણકોટમાં સંદિગ્ધ આતંકવાદીઓ ઘૂસવાના અહેવાલ મળ્યા બાદ સેનાને હાઈ અલર્ટ કરી દેવામાં આવી છે. પઠાણકોટમાં સેનાના યૂનિફોર્મમાં 6 સંદિગ્ધ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના સમાચાર મળ્યા છે. આ અહેવાલને પગલે સેના અને પંજાબ પોલીસ અલર્ટ પર છે. સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પઠાણકોટ અને તેની આજુબાજુના વિસતારમાં તાકીદે અલર્ટ રહેવા કહી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા ઈન્ટેલીજેન્સે સેનાને અલર્ટ જાહેર કરતા કહ્યુ્ં હતું કે પંજાબમાં આતંકીઓ અપ્રિય ઘટનાને અંજામ આપી શકે છે. જે બાદ 18 નવેમ્બરના રોજ અમૃતસરમાં નિરંકારી સમાગમ પર ગ્રેનેડથી હુમલો થયો હતો. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આને આતંકી હુમલો ગણાવતા કહ્યું કે જે ગ્રેનેડ ફેંકવામાં આવ્યા તે પાકિસ્તાનમાં બન્યા હતા.
હવે ફરી પઠાણકોટમાં સંદિગ્ધ આતંકવાદીઓ દેખાયા છે, જે બાદ સુરક્ષાબળોએ તેમની શોધખોળ તેજ કરી દીધી છે. ઘેરાબંધી કરી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સેનાના યૂનિફોર્મમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના અહેવાલ મળ્યા બાદ લોકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. પંજાબ પોલીસ અને સેનાએ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે.
આ પણ વાંચો- તપાસ અધિકારીનો દાવો, અમિત શાહ અને 3 IPS હતા તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકાર