રાહુલ ગાંધી જોકર જેવું વર્તન કરે છે: કોંગ્રેસી નેતા
નવી દિલ્હી, 29 મે : લોકસભા ચૂંટણી 2014માં સણસણતી હારનો સામનો કરનારી કોંગ્રેસની અંદર સ્થિતિ વધારે ખરાબ બનતી જાય છે. કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધીને તો જવાબદાર ઠેરવી શકાય તેમ નથી. એટલા માટે હવે રાહુલ ગાંધીના સલાહકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
હવે કોંગ્રેસનું પત્તુ ખરી પડ્યું હોવાને કારણ કેટલાક કોંગ્રેસી નેતાઓ હવે અવાજ ઉઠાવી રહ્યા છે. આ સિલસિલામાં કેરળના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા ટી એચ મુસ્તુફાએ તો રાહુલને અગંભીર ગણાવીને જોકર કહી દીધા છે. આ કારણે કોંગ્રેસ પાર્ટી મુસ્તુફા પર ગુસ્સે ભરાઇ છે.
કોચીમાં કોંગ્રેસના નેતા ટી એચ મુસ્તફાએ જણાવ્યું કે રાહુલની અગંભીરતા અને જોકર જેવા વર્તનને કારણે પાર્ટીને ખરાબ હારનો સામનો કરવો પડી રહ્યો છે. મુસ્તુફાએ એમ પણ જણાવ્યું કે કોંગ્રેસ કોઇ કૌટુંબિક વારસાગત મિલકત નથી. બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું કે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જોઇએ કારણ કે તેઓ જ એકલા છે જે પાર્ટીને પોતાની તાકાત પાછી મેળવી આપી શકે છે. પ્રિયંકા સૌને મંજુર છે, જ્યારે રાહુલને આ સ્વીકાર્યતા ક્યારેય નહીં મળે,
પોતાની જ પાર્ટીના નેતા દ્વારા કોંગ્રેસના અગ્રણી નેતાની વિરુદ્ધ આવી ટિપ્પણીને કારણે કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. આ અંગે પાર્ટીના પ્રવક્તા મીમ અફઝલે જણાવ્યું કે મને ખબર નથી કે મુસ્તુફાએ શું કહ્યું છે. પરંતુ જે કહેવાનું છે તે પાર્ટીની ફોરમમાં જ કહેવામાં આવવું જોઇએ.
રાહુલને વિપક્ષના નેતા બનાવવા અંગે તેમણે જણાવ્યું કે કેટલાક નેતાઓની ઇચ્છા છે, પરંતુ અંતિમ નિર્ણય પાર્ટીએ જ લેવાનો છે.