Rahul Gandhi On Adani : અદાણીને નરેન્દ્ર મોદી બચાવી રહ્યાં છે, અમેરિકાના આરોપો પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર
Rahul Gandhi On Adani : અમેરિકાએ ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને ધરપકડ વોરંટ જારી કર્યુ છે. આ આરોપો બાદ ભારતમાં ફરીથી રાજનીતિ શરૂ થઈ છે.
અમેરિકાના આરોપો પર રાહુલ ગાંધીએ ફરીથી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી અદાણીને બચાવી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમેરિકામાં હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે અદાણીએ અમેરિકા અને ભારત બંનેના કાયદા તોડ્યા છે. તેમણે કહ્યું કે, હું સમજી શકતો નથી કે અદાણી હજુ પણ દેશમાં આઝાદીથી કેમ ફરે છે?
રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્યમંત્રીઓની ધરપકડ કરવામાં આવી, ઝારખંડના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી. અદાણીએ 2000 કરોડનું કૌભાંડ આચર્યું તેમ છતાં આઝાદ ફરે છે. અમે આ મુદ્દાને સતત ઉઠાવી રહ્યા છીએ. વડાપ્રધાન અદાણીને બચાવવામાં લાગ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ નારો આપ્યો, એક હૈ તો સૈફ હે. જો ભારતમાં અદાણીજી અને મોદીજી એક હોય તો તે સુરક્ષિત છે. ભારતમાં અદાણી માટે કંઈ થઈ શકે તેમ નથી. મુખ્યમંત્રી 10-15 કરોડમાં જાય છે. અદાણી 2000 કરોડનું કૌભાંડ કરે છે અને બહાર ફરે છે. કારણ એ છે કે વડાપ્રધાન તેમને બચાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં અદાણીજી વિરુદ્ધ કંઈ કરવામાં આવી રહ્યું નથી, અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ કે અદાણીજીની ધરપકડ થવી જોઈએ, આજે તેમની ધરપકડ થવી જોઈએ. માધવી બુચે તેમને બચાવ્યા છે, તેમને પણ તેમના પદ પરથી હટાવવા જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે આ મુદ્દો સતત ઉઠાવી રહ્યા છીએ, વિપક્ષના નેતા તરીકે આ મુદ્દો ઉઠાવવાની મારી જવાબદારી છે. વડાપ્રધાન અદાણીને 100 ટકા બચાવી રહ્યા છે. આ વ્યક્તિએ ભ્રષ્ટાચાર દ્વારા ભારતની સંપત્તિ હડપ કરી છે. બધા જાણે છે કે તે ભાજપને સમર્થન કરે છે.
રાહુલ ગાંધીએ જેપીસીની માંગ દોહરાવી અને કહ્યું કે, અમારી માંગ જેપીસીની છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે અદાણીજીની ધરપકડ કરવામાં આવે. અમે જાણીએ છીએ કે તેમની ધરપકડ નહીં કરવામાં આવે. વડાપ્રધાન તેની પાછળ ઉભા છે અને તેમની સુરક્ષા કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
