રાહુલનું તઘલખી ફરમાન : આપણા ઉમેદવારો જીતવા જ જોઇએ
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : આ વર્ષના અંતમાં પાંચ રાજયોની વિધાનસભા યોજાવાની છે ત્યારે કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા એક કડક ફરમાનથી પક્ષના સિનિયર નેતાઓ ધ્રુજી ઉઠયા છે. રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓ પાસેથી ખાતરી માંગી છે કે તેઓ જે ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારશે તે જીતવા જ જોઇએ અને જો આવુ નહીં થાય એટલે કે ઉમેદવાર હારશે તો તેની પસંદગી કરનાર સિનિયર નેતા પર હારની જવાબદારી 'ફિકસ' થશે !
આ વર્ષે નવેમ્બરથી દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો સજ્જ છે. રાહુલે ભાર મૂકયો છે ઉમેદવારોની પસંદગીમાં પૂરતુ ધ્યાન આપવામાં આવે જીતવા માટે સક્ષમ હોય તેવા જ ઉમેદવારની પસંદગી થવી જોઇએ. જો કે પક્ષનાં સિનિયર નેતાઓ આવા કડક આદેશ થી હલબલી ઉઠયા છે કારણકે જો તેમણે પસંદ કરેલો ઉમેદવાર હારે તો લોકસભા ચૂંટણી કે જે આવતા વર્ષે યોજાવાની છે તેમાં તેઓનું પત્તુ કપાઇ શકે છે.
રાહુલ ગાંધીએ જે ફરમાન આપ્યું છે તેનાથી એક સિનિયર નેતાએ નારાજગી દર્શાવી છે તેમણે કહયું કે હવે સમય અખતરા કરવાનો નથી. વિવિધ સર્વેમાં પહેલેથી કોંગ્રેસ માટે ધૂંધળુ ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. ગુપ્ત મતદાન થતું હોય ત્યારે ઉમેદવારોના વિજયની ગેરેન્ટી કોણ લઇ શકે? મતગણતરી ના દિવસ સુધી પરિણામ અંગે કોઇ ચોક્કસ ધારણાં બાંધી શકાય નહીં.
વિવિધ રાજયોમાં કોંગ્રેસનાં સિનિયર નેતાઓ વચ્ચે ઉમેદવારની પસંદગીમાં વિખવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. વધુમાં રાહુલ ગાંધીએ એવો પણ કડક નિર્દેશ આપ્યો છે કે બળવો કરી પક્ષ પલ્ટો કરી પાછા ફરેલા તથા બે વખત ચૂંટણી હારેલા ની પસંદગી કરવામાં ન આવે. ઉપરાંત બળવો ન કર્યો હોય પરંતુ ભાજપમાંથી પક્ષપલ્ટો કરીને આવેલ નેતાઓની પસંદગી સામે પણ ટોચની નેતાગીરીએ વાંધો ઉઠાવ્યો છે.
કોંગ્રેસે આ વખતે પક્ષનાં જિલ્લા પ્રમુખ પાસે જે તે ઉમેદવાર ની પસંદગી શા માટે થઇ રહી છે? તે અંગે 15 પાનાની એક લાંબી પ્રશ્નોતરી પણ આપી છે જે ભરીને પરત મોકલવાની હોય છે. આ પત્રમાં ઉમેદવાર અંગે સંપૂર્ણ વિગત દર્શાવવાની રહેશે આમ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારોની પસંદગી મામલે ખૂબ જ કડક દિશા-નિર્દેશ આપવામાં આવ્યાં છે.