'નો એન્ટ્રી' હોવા છતાં સહારનપુર જઇ પહોંચ્યા રાહુલ ગાંધી
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં હિંસાનું વાતાવરણ છે, એવામાં ત્યાં જવાની મનાઇ હોવા છતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહારનપુર જઇ પહોંચ્યા હતા.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જાતિય હિંસાને કારણે હાલ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. રાજકારણમાં પણ આ કારણે વાતાવરણ ગરમ થયું છે. બસપા સુપ્રીમો માયાવતી બાદ શનિવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહારનપુર જઇ પહોંચ્યા હતા. હરિયાણાના રસ્તે બાય રોડ રાહુલ ગાંધી સહારનપુર પહોંચ્યા હતા, તેમની સાથે યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર અને ગુલામ નબી આઝાદ પણ હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રશાસન તરફથી તેમને સહારનપુર જવાની અનુમતિ આપવામાં નહોતી આવી. સહારનપુર સીમા પર પહોંચતા જ પોલીસ અધિકારીઓએ રાહુલ ગાંધીનો કાફલો રોકી લીધો હતો. આ કારણે રાહુલ ગાંધી અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. પોલીસે તેમનો ગાડીનો કાફલો રોકી લેતાં રાહુલ ગાંધી પગપાળા જ સહારનપુરમાં થોડે આગળ જઇ પહોંચ્યા અને ત્યાં લોકો સાથે મુલાકાત કરી. જો કે, પોલીસ અધિકારીઓએ તેમને ત્યાંથી આગળ ન જવા દીધા.
'દલિતોને દબાવવામાં આવી રહ્યાં છે'
અહીં મીડિયા સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સહારનપુર જવા માંગતો હતો, પરંતુ મને જવા દેવામાં ન આવ્યો. પ્રશાસનના કહેવાથી હું પાછો ફરી રહ્યો છું. આજે ભારતમાં ગરીબો અને નબળા લોકો માટે કોઇ જગ્યા નથી. દલિતોને દબાવવામાં આવી રહ્યાં છે અને દેશભરમાં આ જ હાલત છે. કાયદાકીય વ્યવસ્થાના મામલે યુપી સરકાર નિષ્ફળ ગઇ છે. દેશનો દરેક એવો વ્યક્તિ જે શક્તિશાળી નથી, એ ડરેલો છે.
'અમારી સરકારે J&Kમાં શાંતિ સ્થાપી હતી'
રાહુલ ગાંધીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં પણ પરિસ્થિતિ વણસી છે. અમારી સરકાર ત્યાં શાંતિ સ્થાપવામાં સફળ રહી હતી. પીએમ મોદી દેશદ્રોહી શક્તિઓને જમ્મુ-કાશ્મીરમાં મોકળાશ આપી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં જ્યારે શાંતિ હોય છે, ત્યારે ભારતને તેનો ફાયદો થાય છે. ત્યાં હિંસા થાય તો એનો ફાયદો પાકિસ્તાનને થાય છે. મોદીજી આ જ કામ કરી રહ્યાં છે.