રાહુલે સુબ્રમણ્યમને આપી કાનૂની પગલાં ભરવાની ધમકી
સ્વામીએ ગુરૂવારે પત્રકારોને જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડનું પ્રકાશન કરનારી કંપનીના અધિગ્રહણને લઇને સવાલ ઉઠાવી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસે કંપનીને 90 કરોડથી પણ વધારેની લોન આપી છે.
રાહુલ ગાંધીના કાર્યાલયે સ્વામીને મોકલેલ સંદેશમાં જણાવાયું હતું કે '1 નવેમ્બરના રોજ બપોરે આપના દ્વારા યોજેલ પત્રકાર પરિષદ પર અમારું ધ્યાન ગયું, આપના દ્વારા લગાવવામાં આવેલા આરોપો તદ્દન ખોટા, નિરાધાર અને માનહાનિપૂર્ણ છે. આપે બોલાવેલ પત્રકાર પરિષદનું ઉદ્દેશ્ય કોઇપણ સમજી શકે છે. '
આ પત્રમાં વધુ ઉમેરાયું હતું કે 'આપની પત્રકાર પરિષદમાં ઘોટાળાને લઇને જે આરોપો લગાવવામાં આવ્યા છે તેની કાનૂની કાર્યવાહી કરવા માટે અમે બંધાયેલા છીએ. આપનુ ધ્યાન દોરતા અમે જણાવીએ છીએ કે આપની પત્રકાર પરિષદનો ઉદ્દેશ્ય અને બેજવાબદારીપૂર્ણ વિષયવસ્તુની સામે અમે કાનૂની કાર્યવાહી કરીશું.'