1982માં એક બૉલીવુડ ફિલ્મ આવી હતી ‘નમક હલાલ' આ ફિલ્મમાં એક ગીત હતુ કે ‘.....શિકારી ખૂદ યહાં શિકાર હો ગયાં'. આ ગીત આજના દોરમાં જો કોઇ રાજકીય પ્રતિભા પર બંધ બેસતું છે, તો એ કોંગ્રેસના યુવરાજ અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને. મોંઘવારી, ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓને લઇને દેશભરમાં કોંગ્રેસ પ્રત્યે નારાજગી એ હદે વધી ગઇ છે કે લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસ શાસિત યુપીએ સરકારની રચના થવી હાલ મુશ્કેલ લાગી રહી છે. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર કહો કે પછી આંધી સામે કોંગ્રેસની ડૂબતી નૌકાને બચાવવાની બાગડોળ રાહુલ ગાંધીને સોંપવામાં આવી છે. જો કે, રાહુલ ગાંધી કોંગ્રેસની નૌકાને પાર લગાવે અથવા તો નરેન્દ્ર મોદીનો ‘શિકાર' કરે તે પહેલા શિકારી તરીકે મેદાનમાં કૂદેલા રાહુલ ગાંધી જાતે જ શિકાર બની ગયા છે.
રાહુલ ગાંધી દ્વારા થોડાક દિવસ પહેલા પોતાનો પહેલો ટીવી ઇન્ટરવ્યુ આપ્યો. જેમાં તેમણે ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો અને 1984માં થયેલા શીખ વિરોધી રમખાણો અંગે પોતાના પ્રતિભાવ આપ્યા. આ ઇન્ટરવ્યુ પ્રસારિત થયાને થોડાક સમય બાદ જ રાહુલ ગાંધી પર ચારેકોરથી ટીકાઓનો વરસાદ થવા લાગ્યો, એટલું ઓછું હોય તેમ ગુરુવારે(30 જાન્યુઆરી)એ નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય બહાર શીખ સમુદાય દ્વારા તેમના 84 રમખાણોના નિવેદન અંગે રોષ વ્યક્ત કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
જે રીતે શીખ સમુદાય દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો, એ સ્પષ્ટ જણાવે છે કે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં મોદીને ઘેરતી વખતે ક્યાંક કાચુ કપાઇ ગયું છે. આ સાથે એ પ્રશ્ન પર રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યો છે કે જ્યારે 2002ના રમખાણોને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત એસઆઇટી દ્વારા મોદીને ક્લિન ચિટ આપી દેવામાં આવી છે, ત્યારે રાહુલ ગાંધીએ શા માટે રમખાણોને લઇને મોદી પર પ્રહાર કર્યો, એથી પણ વિશેષ જ્યારે 1984ના રમખાણો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે રીતે કહ્યું કે કોંગ્રેસીઓએ પણ તેમાં સામેલ હતા, તેની પણ ખાસી એવી ટીકા થઇ રહી હતી અને તેમના આ નિવેદનથી કોંગ્રેસને કેટલું મોંઘુ પડી શકે છે, તેનો પરચો શીખ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આપી દેવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ શીખ સમુદાયનો રોષ
મોદીની આંધીને રોકવાનો કોઇ માર્ગ મળે તે પહેલાં જ રાહુલ ગાંધી દ્વારા એક ટીવી ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યુના કારણે કોંગ્રેસ માટે બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. રાહુલ ગાંધીએ 1984માં થયેલા રમખાણોને લઇને કરેલા નિવેદનને લઇને શીખ સમુદાય રોષે ભરાયો છે અને નવી દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલય બહાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે કોંગ્રેસ માટે સારા અણસાર નથી.
1984ના રમખાણ મુદ્દે બેજવાબાદર પૂર્ણ નિવેદન
1984ના રમખાણો અને ગુજરાતમાં થયેલા રમખાણો વચ્ચેનું અંતર સમજાવવા જતા રાહુલથી કાચુ કપાઇ ગયું હતું. 1984ના શીખ રમખણો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું આ રમખાણોમાં સામેલ નથી. એવું ન હતું કે હું તેનો ભાગ હતો. આ સાથે જ તેમને સ્વિકાર્યું કે કેટલાક કોંગ્રેસી લોકો 1984ના શીખ રમખાણોમાં સંલિપ્ત હતા અને તેના માટે તેમને સજા આપવામાં આવી છે.
કારણ વગર ઉખેડ્યો 2002ના રમખાણનો મુદ્દો
2002માં થયેલા રમખાણોને ભૂલીને ગુજરાત અને ગુજરાતની જનતા ઘણી આગળ નીકળી ગઇ છે, સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત એસઆઇટી દ્વારા પણ મોદીને આ મામલે ક્લિન ચિટ આપી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ અને પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કારણ વગર 2002ના રમખાણોને યાદ કરીને, રમખાણો માટે મોદીને જવાબદાર ઠેરવીને મુદ્દો બનાવી રહ્યાં છે. મોદી પર પ્રહાર કરવા માટે રમખાણો સિવાય અન્ય કોઇ મુદ્દો તેમની પાસે નહીં હોવાનું એ એક સચોટ પ્રમાણ છે.
રાહુલ ગાંધી પર ટીકાઓનો વરસાદ
રાહુલ ગાંધી દ્વારા ઇન્ટરવ્યુમાં જે પ્રકારે કહેવામાં આવ્યું તેને લઇને ભાજપના વિવિધ નેતાઓ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા, કોઇકે રાહુલ ગાંધીને કન્ફ્યુઝ તો કોઇએ હાસ્યાસ્પદ ગણાવ્યા છે. કોંગ્રેસના સાથી પક્ષ એનસીપીએ પણ કહ્યું છે કે હવે 2002માં થયેલા રમખાણોને ભૂલી જવાની જરૂર છે.