હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત વચ્ચે તબાહીના મંજર, 50 લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સ્થિતી ગંભીર બની છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યારસુધીમાં 50 લોકોના મોત થયા છે. સ્થિતીની ગંભીરતાને જોતા 15 ઓગસ્ટના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે.
રાજ્યમાં વરસાદને કારણે તબાહીના મંજર જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂસ્ખલનના કાટમાળ નીચે ઘણા વધુ લોકો દટાયા છે. આનાથી મોતનો આંકડો વધી શકે છે.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યુ કે, આવું ક્યારેય બન્યું નથી. પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા મંગળવારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યુ કે, 20 થી વધુ લોકો હજુ પણ દટાયેલા છે અને મૃત્યુઆંક હજુ વધી શકે છે. બચાવ કામગીરી ચાલી રહી છે.
હિમાચલ પ્રદેશના એક અધિકારીએ જણાવ્યું કે, સોલન જિલ્લાના એક ગામમાં વાદળ ફાટ્યું છે. આ ઘટનામાં એક જ પરિવારના 7 સભ્યોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની.
અહેવાલો અનુસાર, શિમલાના સમરહિલ વિસ્તારમાં એક શિવ મંદિર તૂટી પડવાથી 9 લોકોના મોત થયા છે. મંદિરમાં લગભગ 50 લોકો પૂજા માટે આવ્યા હતા. શિમલામાં જ એક બસ પર ઝાડ પડતાં તેનો કંડક્ટર ઘાયલ થયો હોવાના અહેવાલ છે.
સોલન જિલ્લાના જ બલેરા પંચાયતમાં એક અસ્થાયી મકાન ભૂસ્ખલનને કારણે તૂટી પડ્યું છે અને બે બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. સોલનના ડીસી મનમોહન શર્માએ જણાવ્યું કે, રામેશ્વર તહસીલના બનાલ ગામમાં અન્ય એક ભૂસ્ખલનમાં એક મહિલાનું મોત થયું છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, હિમાલમાં કુલ 621 રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકથી સતત વરસાદે હમીરપુર જિલ્લામાં ભારે વિનાસ વેર્યો છે. બિયાસ નદી અને તેની સહાયક નદીઓમાં પૂરની સ્થિતી છે. જણાવી દઈએ કે, રાજ્યમાં ચોમાસાનો વરસાદ 24 જૂનથી શરૂ થયો છે અને અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 260 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે વરસાદ, તોફાન અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે 14 થી 17 ઓગસ્ટ સુધી રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
