આસારામની જામીન પર સુનાવણી ટળી, 1 ઑક્ટોમ્બરે થશે સુનાવણી
જોધપુર, 18 સપ્ટેમ્બર: કિશોર છોકરી સાથે શારિરીક શોષણના આરોપોમાં જેલમાં બંધ આદ્યાત્મિક ગુરૂ આસારામ બાપુની જામીન અરજી પર સુનાવણી ટળી ગઇ છે. રાજસ્થાન હાઇકોર્ટમાં હવે આ સુનાવણી એક ઑક્ટોમ્બરના રોજ થશે. એટલે કે આસારામ બાપુને 30 સપ્ટેમ્બર સુધી હવે જેલમાં જ રહેવું પડશે.
સોમવારે સવારે પોલીસે આસારામને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન લાલ રંગની એક ટોપી પહેરેલા આસારામ ખૂબ ઉદાસ જોવા મળ્યા હતા. ફરિયાદી પક્ષે કોર્ટને કહ્યું હતું કે કેસની તપાસ હજુ ચાલુ છે. માટે આસારામને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવે. આ મુદ્દે કોર્ટે તેમને 30 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દિધા હતા. આસારામના સેવાદાર શિવાની પણ ન્યાયિક કસ્ટડી વધારી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસમાં આસારામ વિરૂદ્ધ એક 16 વર્ષની કિશોર છોકરીએ ફરિયાદ નોંધાવી હતી કે જોધપુર આશ્રમમાં તાજેતરમાં જ આસારામે તેનું યૌન શોષણ કર્યું છે. જો કે આસારામ આ આરોપો અંગે સ્પષ્ટપણે મનાઇ કરી ચૂક્યા છે અને તેમને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.