સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પૂણેમાં ઓલિમ્પિક ખેલાડીઓને સન્માનિત કરશે
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટાના રોજ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. આ આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટમાં સંરક્ષણ સેવાઓના ઓલિમ્પિયન્સને સન્માનિત કરવામાં આવશે.
નવી દિલ્હી : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટાના રોજ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી (DIAT) અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ (ASI) ની મુલાકાત લેશે. આ આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટમાં સંરક્ષણ સેવાઓના ઓલિમ્પિયન્સને સન્માનિત કરવામાં આવશે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા તમામ સશસ્ત્ર દળોના કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહેવાની ધારણા છે, જેમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર સુબેદાર નીરજ ચોપરાનો સમાવેશ થાય છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમિયાન આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટના ઉભરતા ખેલાડીઓ અને સૈનિકો સાથે પણ વાતચીત કરશે. આ દરમિયાન તેમની સાથે આર્મી ચીફ જનરલ મનોજ એમ. નરવણે પણ હાજર રહેશે.
સ્ટેડિયમનું નામ નીરજ ચોપરાના નામ પરથી રાખવામાં આવશે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંસ્થાના ગ્રાઉન્ડનું નામ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાના નામ પર રાખવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપરાએ પોતે ASIમાં ટ્રેનિંગ લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ 16 ઓલિમ્પિયન્સનું સન્માન કરશે.
આ સિવાય તેમને આર્મીના જવાનો અને ત્યાં ટ્રેનિંગ લેતા ખેલાડીઓને પણ સંબોધિત કરશે. DIATમાં રાજનાથ સિંહ સંસ્થાની સામાન્ય સભાની અધ્યક્ષતા કરશે અને એમટેક, પીએચડી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આ ઉપરાંત કેમ્પસમાં નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.