નારીને અબળા સમજનારને તમાચો: બળાત્કારીને પીડિતાએ જીવતો સળગાવ્યો
પટના, 3 એપ્રિલ: આખા દેશમાં એકબાજુ રોજેરોજ બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે એક મહિલાએ પોતાની પર બળાત્કાર ગુજારનારને જીવતો સળગાવી મારી નાખ્યો છે. નારીને અબળા સમજી તેમની સાથે દુર્વ્યવહાર કરનાર પુરુષોના ગાલે આ એક જોરદાર તમાચો છે.
આ ઘટના પટનાના પરસા બજાર પાસે આવેલા સોઇયા ગામની છે જ્યાં એક મહિલાએ ઘરમાં ઘુસીને પોતાની સાથે કથિતરીતે દુષ્કર્મ કરનાર નશામાં ધૂત એક વ્યક્તિને ગઇકાલે મોડીરાત્રે કેરોસીન છાંટીને સળગાવી માર્યો. મૃત વ્યક્તિનું નામ ભોલા ઠાકુર હતું અને તેની હત્યા કરનાર મહિલાની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ધરપકડ કરવામાં આવેલી મહિલાના પતિનું 15 વર્ષ પહેલા નિધન થઇ ચૂક્યું છે, આ મહિલા ગઇકાલે રાત્રે જ્યારે પોતાના ઘરમાં સૂઇ રહી હતી ત્યારે આરોપી ઠાકુર તેના ઘરમાં ધસી આવ્યો અને તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો.
દુષ્કર્મ બાદ મહિલાએ ઠાકુરના શરીર પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી અને અને ઘરમાંથી ફરાર થઇ ગઇ. જેને મંગળવારે પકડીને ગ્રામીણોએ પોલીસના હવાલે કરી દીધી. ઠાકુરની પત્ની શીલાએ ઉપરોક્ત મહિલા પર પોતાના પતિની હત્યાનો આરોપ લગાવી સ્થાનીય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...