Republic Day 2024: કર્તવ્ય પથ પરથી રજૂ થયો ગુજરાતનો ટેબ્લો
Republic Day 2024: અમૃત કાળના પ્રથમ પ્રજાસત્તાક દિવસે એટલે કે, 75-મા પ્રજાસત્તાક પર્વ નિમિતે ગુજરાતના પ્રવાસન અને સંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ"નું નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' ખાતે આયોજિત રાષ્ટ્રીય પરેડમાં ભવ્ય પ્રદર્શન થઇ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરડોનો UNWTO: United Nations World Tourism Organizationના Best Tourism Village યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને 'વિકસિત ભારત'ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે. આજે રજુ થયેલો ગુજરાતનો આ સુંદર કલાકૃતિઓથી રંગીન ટેબ્લો 'કર્તવ્ય પથ' પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.

પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે.
Tradition-Tourism-Technology નો સુંદર સમન્વય સાધ્યો હોવાના લીધે જ ધોરડોને UNWTO: United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, જે સાચા અર્થમાં "વિકસિત ભારત"ની પરિકલ્પનાને સાકારિત કરે છે. આ ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા 'ભૂંગા', રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા.
વળી, તાજેતરમાં UNESCO એ ગુજરાતના ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા'(Intangible Cultural Heritage-ICH)માં સામેલ કર્યો હોઈ, તેની પ્રસ્તુતિએ પણ આ ઝાંખીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
આજના આ પર્વમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, કેન્દ્રીય કેબિનેટના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, સેનાની ત્રણેય પાંખના વડાઓ અને વિવિધ રાજ્યોમાંથી આવેલા આમંત્રિત મહેમાનોની મોટા પ્રમાણમાં ઉપસ્થતિ રહી હતી. ચાલુ વર્ષે, પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 09 ઝાંખીઓ મળીને કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમા શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રીસિદ્ધેશ્વર કાનુગાએ કર્યું હતું.












Click it and Unblock the Notifications
