આનંદો : વર્ષ 2006 પહેલા નિવૃત્ત થનારાઓને રિવાઇઝ્ડ પેન્શન મળશે
સરકારે એવી અરજી કરી હતી કે વર્ષ 2006 પહેલા નિવૃત થયેલાઓને વધારેલું પેન્શન 2012થી મળવુ જોઇએ પરંતુ કોર્ટે હવે સત્તાવાળાઓને જણાવ્યુ છે કે, નિવૃત કર્મચારીઓને 2006થી વધારેલુ પેન્શન આપવું પડશે. દિલ્હી હાઇકોર્ટના આ ચુકાદાથી કેન્દ્રના લાખો પૂર્વ કર્મચારીઓને ફાયદો થશે.
દિલ્હી હાઇકોર્ટમાં સરકારનો પરાજય થતા દેશભરના લાખો સેવા નિવૃત કેન્દ્રીય કર્મચારીઓને સરકાર ટુંક સમયમાં પેન્શન તરીકે વધારાની રકમ ચૂકવવામાં આવશે. વર્ષ 2006 પહેલા સેવા નિવૃત થનારા આ કર્મચારીઓને દિલ્હી હાઇકોર્ટે છઠ્ઠા વેતનપંચ લાગુ થવાના દિવસથી જ વધારેલુ પેન્શન આપવાનો આદેશ આપ્યો છે.
જસ્ટીસ પ્રદિપ નંદરાજોગ તથા જસ્ટીસ વી.કે.રાવની બે સભ્યોની ખંડપીઠે આ મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારની અપીલ ફગાવતા આપ્યો છે. પીઠે સરકારને 24 સપ્ટેમ્બર, 2012ના બદલે જાન્યુઆરી 2006થી સેવા નિવૃત કર્મચારીઓને વધારેલુ પેન્શન આપવાનો આદેશ આપ્યો છે. પીઠે સરકારને પે-બેન્ડ અને ગ્રેડ-પેને જોડીને જે રકમ થાય તેના ઓછામાં ઓછા 50 ટકા પેન્શન આપવા જણાવ્યુ છે.
હાઇકોર્ટે તમામ તથ્યો ઉપર વિચાર કરતા જણાવ્યું છે કે કેન્દ્રીય પ્રશાસનિક ટ્રીબ્યુનલના ફેંસલામાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. ન્યાયના હિતમાં એ જરૂરી છે કે સરકાર કર્મચારીઓને વધારેલુ પેન્શન છઠ્ઠા વેતનપંચ લાગુ થવાના દિવસથી જ આપે. જો કે વર્ષ 2008માં સરકારે છઠ્ઠા વેતનપંચની ભલામણો સ્વીકારી હતી અને તમામ કર્મચારીઓને જાન્યુઆરી 2006થી વેતન તથા ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી.
આ સાથે સરકારે ઓગષ્ટ 2008માં એ પણ આદેશ આપ્યો હતો કે જાન્યુઆરી 2006 પહેલા સેવા નિવૃત થનાર કર્મચારીઓને 24 સપ્ટેમ્બર, 2012થી છઠ્ઠા વેતનપંચના હિસાબથી વધારેલુ પેન્શન મળશે. આ સામે કેન્દ્રીય કર્મચારી પેન્શનર્સ એસોસીએશને કેન્દ્રીય ટ્રીબ્યુનલમાં અરજી દાખલ કરી છઠ્ઠુ વેતનપંચ લાગુ થવાના દિવસથી જ વધારેલુ પેન્શન આપવાની માંગણી કરી હતી.
બે મહિનામાં એરિયર્સ ચૂકવાશે
કોર્ટે સરકારને બે મહિનાની અંદર વધારેલુ પેન્શનના હિસાબથી સેવા નિવૃત કર્મચારીઓને એરિયર્સનું ચુકવણું કરવાનો પણ આદેશ આપ્યો છે. આ સાથે એવું પણ જણાવ્યુ છે કે જો સરકાર આ એરિયર્સ નિયત સમયમાં ચુકવી ન શકે તો તેના પર 1 માર્ચ, 2013થી 9 ટકા વ્યાજ પણ આપવુ. દિલ્હી હાઇકોર્ટના આ ઐતિહાસિક ચુકાદાથી કેન્દ્ર અને રાજયના લાખો કર્મચારીઓને પેન્શન ડબલ થઇ જશે. દિલ્હી હાઇકોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપતા નિવૃત કર્મચારીઓમાં ખુશાલી વ્યાપી ગઇ છે. વર્ષ 2006 પહેલા નિવૃત થયેલા કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા 6 લાખ જેટલી છે. 10 લાખ ભુતપુર્વ સૈનિકોને પણ લાભ મળશે. આ કર્મચારીઓને આ ચુકાદાથી 7 વર્ષના પેન્શનનું એરિયર્સ મળશે.
કર્મચારીઓ લાભ કેવી રીતે ગણી શકે?
ધારણા કરવામાં આવે તો છઠ્ઠા વેતનપંચને લાગુ થયા પહેલા કોઇનું પે-બેન્ડ (મુળ વેતન) રૂિપયા 14,300 અને ગ્રેડ-પે રૂપિયા 8,700 હતો, તો એવામાં એ કર્મચરીને લગભગ રૂપિયા 11,500ની આસપાસ પેન્શન મળતું હતું. છઠ્ઠુ વેતનપંચ લાગુ થયા બાદ જે વ્યકિતનું પે-બેન્ડ રૂપિયા 14,300 હતું તે રૂપિયા 37,000 થઇ ગયું એવામાં રૂપિયા 8,700 જોડી દેવામાં આવે તો 50 ટકા પેન્શન રૂપિયા 23,050 લેખે મળશે.