PM નરેન્દ્ર મોદીને ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં આમંત્રણ મુદ્દે વિવાદ
નવી દિલ્હી, 24 જૂન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે તેમને આમંત્રણ આપવાના મુદ્દે દિલ્હી સ્થિત ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર (IICC)ના સભ્યો વચ્ચે મતભેદો બહાર આવ્યા છે.
સેન્ટરના અધ્યક્ષ સિરાજુદ્દીન કુરેશીએ વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે તેમને આમંત્રિત કર્યા છે. સેન્ટરના સભ્ય અને રાજ્યસભાના સાંસદ મોહમ્મદ અદીબ આ નિમંત્રણનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે.
અદીબે જણાવ્યું કે 'અમારું માત્ર એટલું જ કહેવું છે કે ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરને પોલિટિકલ સેન્ટર બનાવવામાં આવવું જોઇએ નહીં. આ નિર્ણય કેટલાક લોકોએ પોતાના અંગત ફાયદા માટે કર્યો છે. ઘણા બધા સભ્યો આનો વિરોધ કરી રહ્યા છે.'
આ મુદ્દે ઇસ્લામિક સેન્ટરના ઉપાધ્યક્ષ સફદર ખાને જણાવ્યું કે બની શકે છે કે કેટલાક લોકો વિરોધ કરી રહ્યા હોય. પરંતુ અમે નરેન્દ્ર મોદીને નહીં, દેશના વડાપ્રધાનને આમંત્રિત કર્યા છે. આ અંતરને ઘટાડવાનો પ્રયાસ છે. આ આમંત્રણ અંગે વડાપ્રધાન તરફથી કોઇ જવાબ આવ્યો નથી.
અદીબે કેટલાક દિવસો પહેલા જ આ નિર્ણયના વિરોધમાં સેન્ટરના સભ્યોને પત્ર લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ અદીબ લોકસભા ચૂ્ટણીના કેટલાક મહિના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિને ભારતીય નેતાઓ તરફથી મોદીને વિઝા નહીં આપવાના સંદર્ભમાં કથિત રીતે લખવામાં આવેલા પત્રના વિવાદના કેન્દ્રમાં હતા.
બીજી તરફ ગુજરાત ભાજપના નેતા અને સેન્ટરના સભ્ય ઇલિયાસ ખાન પઠાણે જણાવ્યું કે સેન્ટરે નરેન્દ્ર મોદીને આમંત્રિત કરીને સરાહનીય પ્રયાસ કર્યો છે. તેમાં કોઇ પ્રકારનો વિવાદ ઉભો કરવો જોઇએ નહીં. સૌનો સાથ, સૌનો વિકાસના નરેન્દ્ર મોદીના પ્રયાસમાં અમે તેમનો સાથ આપવા માંગીએ છીએ.