રિયાન સ્કૂલની માન્યતા થઇ શકે છે રદ્દ, શિક્ષણ મંત્રીનું નિવેદન
શુક્રવારે રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષના બાળકની હત્યા થઇ હતી, આ મામલે બસ કંડક્ટરે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો છે.
શુક્રવારે વારે દિલ્હી પાસે આવેલ ગુરુગ્રામ સ્થિત રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલના શૌચાલયમાંથી બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પ્રદ્યુમ્ન નું શબ મળી આવ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા બસ કંડક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. બસ ડ્રાઇવર અને બસ કંડક્ટર સાથેની લાંબી પૂછપરછ બાદ સામે આવ્યું કે, બસ કંડક્ટરે જ ગળું કાપી પ્રદ્યુમ્નની હત્યા કરી હતી. ઇન્ડિયા ટુડેના અહેવાલો અનુસાર, બસ કંડક્ટરે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
બસ કંડક્ટરને 3 દિવસના રિમાન્ડ
ગુરૂગ્રામ અદાલત દ્વારા બસ કંડક્ટરને 3 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. આ બસ કંડક્ટરનું નામ અશોક કુમાર છે અને પોલીસ અનુસાર અશોકે બાળકનું યૌન શોષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકે સામે વિરોધ કરતાં તેણે પ્રદ્યુમ્નની હત્યા કરી હતી. અશોક બાથરૂમમાં પોતાની છરી સાફ કરવા ગયો હતો. ત્યાં તેણે પ્રદ્યુમ્ન ને જોયો અને તેનું યૌન શોષણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાળકે વિરોધમાં બૂમો પાડતાં તેણે તેની હત્યા કરી હતી.
શિક્ષણ મંત્રીએ કહ્યું, કડક કાર્યવાહી થશે
આ સમગ્ર ઘટનાના એક દિવસ બાદ રાજ્યના શિક્ષણ મંત્રી રામવિલાસ શર્માએ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે, હું કાલે ગુરૂગ્રામ જઇશ અને જરૂર પડતાં શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. શાળાની માન્ય રદ્દ થઇ શકે છે. મૃતક પ્રદ્યુમ્નને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે આગળ કહ્યું કે, આ મામલે ડીસી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે.
7 વર્ષના પ્રદ્યુમ્નની માતા જ્યોતિએ આ અંગે કહ્યું હતું કે, શાળા મારા પુત્રની પ્રાથિમક સુરક્ષાનું પણ ધ્યાન નથી રાખી શકી. તો પછી માતા-પિતા કોના ભરોસે પોતાના બાળકોને શાળામાં મુકે? મારો દિકરો એ બસ કંડક્ટરને ઓળખતો પણ નહોતો, કારણ કે એ કોઇ દિવસ બસમાં ગયો નથી. અમે જ તેને શાળાએ લેવા-મુકવા જતા હતા.