રિયાન સ્કૂલની મુસીબતો વધી,પ્રદ્યુમ્ન મામલે થઇ શકે CBI તપાસ
પ્રદ્યુમ્ન હત્યાકાંડ મામલે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પરિવારની માંગણીને ધ્યાનમાં રાખતા સીબીઆઇ તપાસની ભલામણ કરશે. શાળાની ગેરજવાબદારીને જોતાં સરકાર દ્વારા 3 માસ માટે શાળાને ટેકઓવર કરવામાં આવી છે.
8 સપ્ટેમ્બરના રોજ ગુરૂગ્રામની રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલ પ્રદ્યુમ્નની હત્યા બાદ શુક્રવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર મૃતકના ઘરે પહોંચ્યા હતા. તેમણે પ્રદ્યુમ્નના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રદ્યુમ્નની માતાને વાયદો કર્યો હતો કે, ગુનેગારોને સજા ચોક્કસ મળશે. આ મુલાકાત બાદ સીએમ એ કહ્યું કે, તેઓ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરશે. રાજ્યની પોલીસ આ મામલાની સંવદેનશીલતાને ધ્યાનમાં રાખીને સતત કાર્યવાહી કરી રહી છે, પરંતુ પરિવારની માંગ સીબીઆઇ તપાસની છે, તો રાજ્ય સરકાર એ માટે પણ તૈયાર છે.

ત્રણ માસ માટે સરકારે લીધો શાળાનો ટેકઓવર
સીએમ મનોહર લાલ ખટ્ટરે આગળ કહ્યું કે, રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલને સરકારે ત્રણ માસ માટે ટેકઓવર કરી છે. આ સમગ્ર મામલે ગેરજવાબદારીની વાત સામે આવી છે, આથી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાજ્ય સરકારે શાળાને ટેકઓવર કરી છે. હરિયાણાની સરકાર દરેક પગલે પ્રદ્યુમ્નના પરિવારની સાથે છે.

ન્યાપાલિકા પર ભરોસો છે પ્રદ્યુમ્નના પિતાને
સીએમ ખટ્ટરની મુલાકાત બાદ પ્રદ્યુમ્નના પિતાએ કહ્યું કે, મને મુખ્યમંત્રીએ દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી આપી છે. મને અદાલતમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને મને આશા છે કે, અમને ટૂંક સમયમાં જ ન્યાય મળશે. ઉલ્લેખનીય છે કે, આ મામલે 24 કલાકની અંદર જ આરોપી બસ કંડક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો, આમ છતાં પ્રદ્યુમ્નના પિતાનું કહેવું હતું કે, આ પોલીસ અને શાળાની મીલીભગત છે. આથી જ તેમણે શરૂઆતથી જ આ મામલે સીબીઆઇ તપાસની માંગણી કરી હતી.

પોલીસ અને શાળાની છે મીલીભગત?
આ મામલે બસ કંડક્ટર અશોકની ધરપકડ કરવામાં આવી હતી, અશોકના વકીલ અને તેના પરિવારના નિવેદનો પરથી પણ કેસને નવો વળાંક મળી શકે છે. આરોપીના વકીલનું કહેવું છે કે, અશોકને થર્ડ ડિગ્રી ટૉર્ચર અને કરંટના ઝાટકા આપી આરોપ કબૂલ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ધરપકડ બાદ અશોકની બહેન અને પિતાએ પણ નિવેદન આપ્યું હતું કે, અશોક નિર્દોષ છે અને શાળા દ્વારા તેને આ મામલે ફસાવવામાં આવ્યો છે.

પ્રદ્યુમ્નનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
બીજી બાજુ પ્રદ્યુમ્નનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબે પ્રદ્યુમ્ન સાથે થયેલ ક્રૂરતાનું વર્ણન કર્યું છે. અહેવાલો અનુસાર, પ્રદ્યુમ્ન હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યો હતો. આ અંગે પોસ્ટમોર્ટમ કરનાર ડૉ.દીપક માથુરે જણાવ્યું કે, દર્દી જો જીવતો હોસ્પિટલ આવ્યો હોત, તો પણ તેનો જીવ બચાવવો અશક્ય હતો. છરી વડે પ્રદ્યુમ્નના ગળા પર થયેલ હુમલાથી તેની શ્વાસ નળી કપાઇ ગઇ હતી અને આવી હાલતમાં દર્દી વધુમાં વધુ 120 સેકન્ડ જ જીવીત રહી શકે અને આટલા ઓછા સમયમાં તેનો ઇલાજ અશક્ય છે. ડૉ.માથુર અનુસાર, પ્રદ્યુમ્નનું મૃત્યુ શ્વાસ નળી કપાયા બાદ 60-90 સેકન્ડ વચ્ચે થયું હતું. મેં 17 વર્ષના મારા કરિયરમાં આવો કેસ ક્યારેય નથી જોયો. કોઇ 7 વર્ષના બાળક સાથે આટલી નિર્મમતા કઇ રીતે દાખવી શકે?












Click it and Unblock the Notifications
