સબરીમાલા મંદિર, જ્યાં 10 થી 50 વર્ષની મહિલાઓ માટે પ્રવેશ છે વર્જિત
કેરળના સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આવો જાણીએ સબરીમાલા મંદિર અને તેની સાથે જોડાયેલી માહિતી વિશે....
કેરળના સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલે દાખલ યાચિકાની સુનાવણી દરમિયાન મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને અયોગ્ય ગણાવતા ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યુ હતુ કે દેશમાં ખાનગી મંદિરનો કોઈ સિદ્ધાંત નથી. તે સાર્વજનિક સંપત્તિ છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર કેસમાં પોતાના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. સબરીમાલા મંદિર દક્ષિણ ભારતનું એક એવુ તીર્થસ્થળ છે જ્યાં દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આવો જાણીએ સબરીમાલા મંદિર અને તેની સાથે જોડાયેલી માહિતી વિશે....
કેરળમાં છે સબરીમાલા મંદિર
સબરીમાલા મંદિર તિરુવનંતપુરમથી 175 કિલોમીટર દૂર પહાડો પર સ્થિત છે. આ મંદિર ચારે તરફથી પહાડોથી ઘેરાયેલુ છે. વળી, આ મંદિર સુધી પહોંચવા માટે 18 પવિત્ર સીડીઓને પાર કરવી પડે છે. દરેક સીડીનો અલગ અર્થ છે. તેના વિશે કહેવાય છે કે પહેલી 5 સીડીઓ મનુષ્યની પાંચ ઈન્દ્રિયો સૂચવે છે. જ્યારે ત્યારબાદની 8 સીડીઓને માનવીય ભાવનાઓથી જોડવામાં આવે છે. આગલી 3 સીડીઓને માનવીય ગુણો જ્યારે છેલ્લી 2 સીડીઓને જ્ઞાન અને અજ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરનું સાચુ નામ સબરિમલય છે. મલયાલમ ભાષામાં પર્વતને શબરીમલા કહેવામાં આવે છે. 18 પહાડો વચ્ચે સ્થિત હોવાના કારણે તેનું નામ સબરિમલય રાખવામાં આવ્યુ.
આ પણ વાંચોઃ લોકપાલ માટે કેન્દ્ર સરકારે બનાવી આઠ સભ્યોની સર્ચ કમિટી
ભગવાન અયપ્પાને સમર્પિત છે મંદિર
પૌરાણિક કથાઓ અનુસાર અયપ્પાને ભગવાન શિવ અને મોહિની (ભગવાન વિષ્ણુનું એક રૂપ) નો પુત્ર માનવામાં આવે છે. તેમનું એક નામ હરિહરપુત્ર પણ છે. હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવ. આ ઉપરાંત ભગવાન અયપ્પાને અયપ્પન, શાસ્તા અને મણિકાંતા નામથી પણ ઓળખવામાં આવે છે. સબરીમાલા મંદિર ઉપરાંત તેમના દક્ષિણ ભારતમાં ઘણા મંદિર છે. આ મંદિરને દક્ષિણના તીર્થ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંદિર અંગે ઘણી માન્યતાઓ
એ પણ માન્યતા છે કે ભગવાન પરશુરામે અયપ્પન પૂજા માટે સબરીમાલામાં મૂર્તિની સ્થાપના કરી હતી. વળી, ઘણા વિદ્વાનોનો એ પણ મત છે કે શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો વચ્ચે મતભેદ બહુ વધી ગયા હતા ત્યારે તે મતભેદોને દૂર કરી ધાર્મિક સદભાવ વધારવાના ઉદ્દેશથી અયપ્પનની પરિકલ્પના કરવામાં આવી. અહીં ધર્મના નામ પર કોઈની સાથે ભેદભાવ કરવામાં આવતા નથી.
દર વર્ષે કરોડો શ્રદ્ધાળુ કરે છે દર્શન
અહીં આવનારા શ્રદ્ધાળુ માથે પોટલી મૂકીને પહોંચે છે. તે પોટલી નૈવેધથી ભરેલી હોય છે. એવી માન્યતા છે કે તુલસી કે રુદ્દાક્ષની માળા પહેરીને, વ્રત રાખીને અને માથા પર નૈવેધ મૂકીને જે વ્યક્તિ આવે છે તેની બધી મનોકામનાઓ પૂરી થાય છે. આ મંદિરમાં દર વર્ષે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
પહાડો પર થઈને મંદિર સુધી જાય છે રસ્તો
મંદિરથી 5 કિમી દૂર પંપા સુધી કોઈ ગાડી લાવવાનો રસ્તો નથી. જેના કારણે પહેલેથી અહીં ઉતરીને આગળ જવા માટે પગપાળા યાત્રા શરૂ થાય છે. વળી, ટ્રેનથી આવતા યાત્રીઓ કોટ્ટાયમ કે ચેંગન્નૂર રેલવે સ્ટેશન ઉતરીને મંદિર જઈ શકે છે. અહીંથી પંપા સુધી ગાડીઓથી પ્રવાસ કરી શકાય છે. ત્યારબાદ જંગલના રસ્તે પહાડોને પાર કરીને સબરીમાલા મંદિર પહોંચી શકાય છે જ્યાં ભગવાન અયપ્પાના દર્શન થાય છે. આ વિસ્તારથી સૌથી નજીકનું એરપોર્ટ તિરુઅનંતપુરમ છે જ્યાંથી લગભગ સો કિમી દૂર આ મંદિર છે.
મહિલાઓનો પ્રવેશ વર્જિત
સબરીમાલા મંદિર ધાર્મિક સદભાવનાનું પ્રતીક છે પરંતુ અહીં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. કહેવાય છે કે ભગવાન અયપ્પન બ્રહ્મચારી હતા એટલા માટે મંદિર પરિસરમાં માત્ર એ જ બાળકીઓ જઈ શકે જેમનો માસિક ધર્મ શરૂ ન થયો હોય અને એ મહિલાઓ જઈ શકે જે તેનાથી નિવૃત્ત થઈ ચૂકી હોય. આ અંગેની એક કાનૂની લડાઈ લાંબા સમયથી ચાલી રહી છે.
મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ સામે યાચિકા
ઈન્ડિયન યંગ લોયર્સ એસોસિએશને આ પ્રતિબંધને પડકારીને સુપ્રીમ કોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરી હતી. યાચિકામાં એ કહેવામાં આવ્યુ છે કે આ પ્રથા લૈંગિક આધાર પર ભેદભાવ કરે છે. યાચિકાકર્તાએ આને ખતમ કરવાની માંગ કરી છે. યાચિકાકર્તાઓનું એ પણ કહેવુ છે કે આ બંધારણીય સમાનતાના અધિકારમાં ભેદભાવ છે એટલા માટે આ મહિલાઓને પણ મંદિરમાં પ્રવેશ મળવો જોઈએ.
આ પણ વાંચોઃ શિવાજી સાથે પીએમ મોદીની તુલનાથી ભડકી શિવસેના, ‘છત્રપતિએ રમખાણોની રાજનીતિ નથી કરી'