સગીરા પર બળાત્કારના આરોપી આસારામને સાધ્વી પ્રજ્ઞાએ ગણાવ્યા નિર્દોષ
સગીરા પર બળાત્કારના આરોપી રાજસ્થાનની જોધપુર જેલમાં કેદ આસારામને સાધ્વી પ્રજ્ઞાએ નિર્દોષ ગણાવ્યા છે.
સગીરા પર બળાત્કારના આરોપી રાજસ્થાનની જોધપુર જેલમાં કેદ આસારામને સાધ્વી પ્રજ્ઞાએ નિર્દોષ ગણાવ્યા છે. માલેગાંવ વિસ્ફોટ કેસમાં ગંભીર આરોપોનો સામનો કરી રહેલા સાધ્વી પ્રજ્ઞા હાલ જામીન પર છે. સાધ્વી પ્રજ્ઞાએ નિવેદન આપ્યું કે આસારામે કોઈ બળાત્કાર નથી કર્યો, તે નિર્દોષ છે એટલું જ નહીં સાધ્વી પ્રજ્ઞાએ આસારામની મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના પણ કરી. સુરતમાં સાધ્વી પ્રજ્ઞાએ આ નિવેદન આપ્યું. સુરતમાં જ કેટલાક હિન્દુ સંગઠનોએ સાધ્વીનું જોરદાર સ્વાગત પણ કર્યું.
ચુકાદા પહેલા સાધ્વીનો ચુકાદો
સગીરા સાથે બળાત્કારના આરોપી આસારામ મામલે કોર્ટ બુધવારો પોતાનો ચુકાદો આપશે. પરંતુ આ પહેલા સાધ્વીએ આસારામ નિર્દોષ હોવાનો દાવો કર્યો. સાધ્વી પ્રજ્ઞાએ નિવેદન આપ્યું કે કોર્ટનો નિર્ણય તો કાલે આવશે, જજ શું નિર્ણય આપશે તે તો જાણો જ છો, પરંતુ મારી ઈચ્છા છે કે ભગવાન આસારામને નિર્દોષ જાહેર કરે, કારણ કે તેમણે કોઈ પાપ નથી કર્યું.
7 એપ્રિલે પૂરી થઈ ચૂકી છે સુનાવણી
સગીરા સાથે બળાત્કાર મામલે આસારામ હાલ જોધપુરની જેલમાં કેદ છે. આ કેસની સુનાવણી 7 એપ્રિલે પૂરી થઈ ચૂકી છે. જોધપુરની વિશેષ અદાલતની 25 એપ્રિલે આ કેસનો ચુકાદો આપશે. 2013માં દિલ્હી અને જોધપુર પોલીસે આસારામ સામે સગીરા પર બળાત્કારનો કેસ નોંધ્યો હતો. 31 ઓગસ્ટ, 2013ના રોજ આસારામની ધરપકડ કરાઈ હતી. જોધપુરની પીડીતાએ આરોપ લગાવ્યો હતો કે આસારામના જોધપુર આશ્રમમાં જ તેના પર બળાત્કાર કરાયો હતો. યુવતી પર ખરાબ આત્માની પકડ હોવાની વાત કરી આસારામે તેને ઈલાજ માટે જોધપુર આશ્રમમાં રાખી હતી.
2008ના વિસ્ફોટ કેસના આરોપી છે સાધ્વી
સપ્ટેમ્બર, 2008માં માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે 101 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ કેસમાં સાધ્વી સામે કેટલાક ગંભીર કેસ નોંધાયેલા છે. હાલ તે જામીન પર છે. તેમનો પાસપોર્ટ એનઆઈએએ જપ્ત કર્યો છે, સાધ્વી દેશ છોડી શકે તેમ નથી.ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાએ દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે, કોંગ્રેસે ષડયંત્ર કરી તેમને ફસાવ્યા છે