‘જો કમલનાથ દોષિત છે તો મોદી પણ, પીએમ મોદી પર પણ એવા જ આરોપ'
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે જો કમલનાથ દોષિત છે તો પીએમ મોદી પણ દોષિત છે.
1984ના સિખ રમખાણો સાથે જોડાયેલા એક મામલે દિલ્લી હાઈકોર્ટની ડબલ બેંચે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત ગણાવ્યા છે. સજ્જન કુમારને રમખાણો ભડકાવવા અને ષડયંત્ર રચવાના દોષિત ગણાવીને હાઈકોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. સજ્જન કુમારને સજા સંભળાવ્યા બાદ હવે મધ્ય પ્રદેશના સીએમ ચૂંટાયેલ કમલનાથની ભૂમિકા પર પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. શિરોમણિ અકાલી દળ જ નહિ પરંતુ દિલ્લી ભાજપના પ્રવકતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ પણ કમલનાથનો વિરોધ કર્યો છે. જો કે કોંગ્રેસ પાર્ટી કમલનાથના બચાવમાં ઉતરી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે જો કમલનાથ દોષિત છે તો પીએમ મોદી પણ દોષિત છે. તેમણે ગુજરાત રમણાણોનો મુદ્દો ઉઠાવતા કહ્યુ કે પીએમ મોદી પર પણ એવા જ આરોપ લાગ્યા છે.
આ પણ વાંચોઃ LPG ગ્રાહકોને મળે છે 50 લાખ રૂપિયા સુધીનો વીમો, શું તમે જાણો છો?
1984 રમખાણો મામલે સજ્જન કુમારને દોષિત ગણાવ્યા બાદ રાજકીય પારો ગરમાઈ ગયો છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ મધ્ય પ્રદેશના ભાવિ મુખ્યમંત્રી કમલનાથ પર નિશાન સાધતા કહ્યુ કે એક તરફ સિખ રમખાણોમાં સજ્જન કુમારને સજા થઈ છે પરંતુ મુશ્કેલી એ છે કે સિખ સમાજ જે બીજા નેતાને દોષિત માને છે તેને કોંગ્રેસ મુખ્યમંત્રીના શપથ લેવડાવી રહ્યા છે. આના જવાબમાં કપિલ સિબ્બલે કહ્યુ જો કમલનાથ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તો તે વાત કેન્દ્રમાં પણ થઈ રહી છે. પીએમ મોદી પર પણ એવા જ આરોપ લગાવાતા રહ્યા છે. સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. અરુણ જેટલીએ પાયાવિહોણા આરોપ લગાવવા ન જોઈએ.
કમલનાથના સીએમ પસંદ કરવાના સવાલ પર કપિલ સિબ્બલે કહ્યુ કે સમગ્ર મામલાને રાજકીય રંગ ન આપવો જોઈએ. જો કે ભાજપ આને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે સજ્જન કુમાર હવે કોઈ પદ પર નથી. જો કમલનાથ દોષિત છે તો મોદી પણ છે. પીએમ મોદી પર પણ એવા જ આરોપ છે. સમગ્ર મામલે કોંગ્રેસે ગુજરાતના રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતાએ માંગ કરી છે કે માયા કોડનાનીની પાછળ જે લોકો હતા તેમને પણ સજા મળે.