જમ્મુમાં સરપંચે રાહુલ ગાંધીનું ભાષણ અટકાવતા હંગામો
જમ્મુ, 6 નવેમ્બર : જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે નીકળેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રથમ દિવસે જ હંગામાનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે બુધવારે સવારે એક જાહેર સભામાં રાહુલ ગાંધી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમનું ભાષણ અધવચ્ચે અટકાવીને એક સ્થાનિક સરપંચે પ્રશ્નો પૂછ્યા હતા. આ સરપંચને રોકવા છતાં તેઓ અટક્યા ન હતા અને રાહુલને પ્રશ્નો પૂછીને જ બોલતા અટક્યા હતા.
આ સરપંચે પ્રશ્નો ઉઠાવ્યા હતા કે જમ્મુ કાશ્મીર સરકાર પંચાયતોને વીજળી આપતી નથી. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ આ સેવાથી તેમને અટકાવી રહ્યા છે. આ રીતે અધવચ્ચે પૂછાયેલા પ્રશ્નોથી આશ્ચર્ય પામેલા રાહુલે છેવટે સરપંચને સમસ્યા દૂર કરવાની સાંત્વના આપી હતી. આ સાથે રાહુલે એમ પણ જણાવ્યું હતું કે અહીં હું આપની સમસ્યા સાંભળવા જ આવ્યો છું.
રાહુલે જણાવ્યું કે પંચાયતોનું સશક્તિકરણ રાતોરાત થશે નહીં. પણ હું વિશ્વાસ અપાવું છું કે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. કોંગ્રેસ સ્થાનિક નેતાઓને સશક્ત બનાવવા માંગે છે. કારણ કે કોઇ પણ ધારાસભ્ય કે સાંસદ એ કામ નથી કરી શકતો જે કામ પંચાયતો કરી શકે છે.
આ સભામાં રાહુલ ગાંધીએ જમીન સંપાદન બિલ, આરટીઆઇ, ખાદ્ય સુરક્ષા બિલ વગેરે બાબતોને અમલી બનાવીને કોંગ્રેસે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની વાત કરી હતી. તેઓ જમ્મુ કાશ્મીરના સમસ્યા અંગે પણ બોલ્યા હતા.