બાબરી વિધ્વંસ કેસઃ અડવાણી અને ઉમા ભારતીની મુશ્કેલી વધશે?
સુપ્રીમ કોર્ટની સુનવણીમાં બાબરી વિધ્વંસના આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત અન્ય સાત લોકો સામે આ મામલે નિર્ણય લેવાશે.
ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ ફરી એકવાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિધ્વંસ નો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટે સૂચવ્યું હતું કે, આ મુદ્દાનો ઉકેલ પરસ્પર સમજુતીથી આવવો જોઇએ. જરૂર પડ્યે કોર્ટે મધ્યસ્થી બનવાની તૈયરી બતાવી છે. હવે ગુરૂવારના રોજ આ અંગે સુનવણી થશે કે, વર્ષ 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ મામલે આરોપી રહેલાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધાશે કે કેમ?
ઉલ્લેખનીય છે કે, આ મામલે પહેલાં જ એક સુનવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દા પર પહેલી નજરમાં નેતાઓને આરોપમુક્ત કરવા યોગ્ય નહીં ગણાય. સુપ્રીમ કોર્ટે સાથે જ એમ પણ કહ્યું હતું કે, સીબીઆઇને આ મામલે નીચલી અદાલત તરફથી લેવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ સમયસર એક સપ્લિમેન્ટ્રિ ચાર્જશીટ દાખલ કરવી જોઇતી હતી. નીચલી અદાલતે ટેક્નિકલ ગ્રાઉન્ડ પર આ તમામ નેતાઓને આ કેસમાંથી આરોપમુક્ત કર્યાં હતા, જે પછી હાઇકોર્ટે પણ આ નિર્ણય માન્ય ઠરાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સીબીઆઇને આ મામલે તમામ 13 આરોપીઓ વિરુદ્ધ અપરાધનું કાવતરું ઘડવા બદલ ચાર્જશીટ દાખલ કરવાનું કહ્યું હતું. સાથે જ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે બે અલગ-અલગ અદાલતોમાં ચાલી રહેલી સુનવણી અંગે સવાલ કરતાં પૂછ્યું હતું કે, રાયબરેલીમાં ચાલી રહેલ બાબરી મસ્જિદની સુનવણીને લખનઉ ટ્રાન્સફર કરવામાં આવે તે કેવું? લખનઉમાં આની સાથે જોડાયેલા મામલાની સુનવણી ચાલી રહી છે અને માટે જ સુપ્રીમ કોર્ટ આ બંન્ને મામલાની સુનવણી એક સાથે કરવા માંગે છે.
અહીં વાંચો - અજમેર દરગાહ બ્લાસ્ટમાં આ ગુજરાતીને થઇ ઉંમર કેદ
જો કે, લાલકૃષ્ણ અડવાણીએઆનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આમ કરવા માટે 183 સાક્ષીઓને ફરીથી બોલાવવા પડશે, જે ખૂબ મુશ્કેલીભર્યું કામ છે. હવે આજની કાર્યવાહી બાદ આ મામલે અંતિમ નિર્ણય ગુરૂવારે લેવાશે.